પાટણઃ કોરોના મહામારીએ સમગ્ર વિશ્વને તેના ભરડામાં લીધુ છે. ભારતમાં પણ મહામારી જોવા મળી રહી છે. ત્યારે આ મહામારીને અટકાવવા દેશના વડાપ્રધાન દ્વારા તબક્કાવાર લોકડાઉન અમલી કર્યું હતું. ત્યારે તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકડાઉન 4 અમલી કર્યું છે. જેમાં મહાનગરો અને શહેરોમાં કેટલાક નિયમોની છુટછાટ આપી વેપારીઓ સરળતાથી ધંધો કરી શકે સાથે-સાથે સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે શહેરી વિસ્તારોમાં માર્કેટ અને કોમ્પ્લેક્ષની દુકાનોમાં ઓડ અને ઈવન પધ્ધતિથી દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
પાટણમાં ઓડ ઈવન પદ્ધતિ પ્રમાણે દુકાનો ખુલશે
કોરોના મહામારીના પગલે સરકાર દ્વારા ચોથા તબક્કાનું લોકડાઉન અમલી કર્યું છે. પાટણ વહીવટી તંત્ર દ્વારા કોરોના વાયરસનુ સંક્રમણ ઘટે અને સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે શહેરની મુખ્ય બજારોની દુકાનો અને કોમ્પ્લેક્ષની દુકાનોને ઓડ અને ઈવન નંબર આપવામાં આવ્યા છે. આ નંબર પ્રમાણેના દિવસે વેપારીઓએ દુકાનો ખોલી ધંધો રોજગાર કરવાનો રહેશે.
સરકારના આદેશ મુજબ પાટણ નગરપાલિકાએ અલગ અલગ ટિમો બનાવી બજારની અને કોમ્પ્લેક્ષની દુકાનોમાં એક અને બે નંબર આપવાની કામગીરી હાથ ધરી હતી. વેપારીઓને આ નંબર પ્રમાણે પોતાની દુકાનો સવારે 8થી સાંજના 4 વાગ્યા સુધી ખુલ્લી રાખી શકશે.
પાટણમાં ઓડ અને ઈવન પધ્ધતિ પ્રમાણે દુકાનો ખુલશે. આ પદ્ધતિથી શહેરમાં 50% દુકાનો જ ખુલ્લી રહેશે જેથી ખરીદી માટે આવનાર ગ્રાહકોને દુકાનો આગળ ઊભા રહેવાની જગ્યા મળી રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાઈ રહેશે. જેામાં ઓડ અને ઈવન પધ્ધતિ બેન્ક, એટીએમ, કોમર્શિયલ ઓફિસો, રેશનિંગની દુકાનો અને હોસ્પિટલોને લાગુ નહિ પડે.