પાટણઃ કોરોના વાઇરસને ફેલાતો અટકાવવા સરકાર દ્વારા છેલ્લા દોઢ મહિનાથી સમગ્ર દેશમાં લોક ડાઉન અમલી કર્યુ છે અને કોરોના પોઝીટીવ કેશોની સંખ્યાને આધારે ઝોન નક્કી કરી જેતે જિલ્લાઓને ધંધારોજગાર કરવાની છૂટછાટો આપી છે.
પાટણની બજારોમાં ભીડને પગલે લોકોમાં કોરોનાનો ભય
કોરોના મહામારીને પગલે પાટણ જિલ્લામાં લોકડાઉન-3 અમલી છે. જિલ્લાનો ઓરેન્જ ઝોનમાં સમાવેશ થતા વહીવટી તંત્ર દ્વારા શરતો ને આધીન છૂટછાટો આપી છે. જેને કારણે શહેરના મુખ્ય માર્ગો પર લોકોની અવરજવર વધુ જોવા મળી રહી છે. તેથી કોરોના વાઇરસનુ સંક્રમણ વધે તેવો ભય લોકોમાં જોવા મળી રહ્યો છે.
પાટણ જિલ્લામા અત્યાર સુધી કોરોના પોઝિટિવના 23 કેસો નોંધાઈ ચૂક્યા છે. દોઢ મહિનાથી નગરજનો કામ વિના બહાર ન નીકળતા હજી સુધી શહેરમા એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. પાટણ જિલ્લાનો ઓરેન્જ જોનમાં સમાવેશ થયો છે. તેથી વહીવટી તંત્ર દ્વારા સવારે 7થી સાંજના 7 વાગ્યા સુધી ધંધારોજગાર ચાલુ રાખવાની પરવાનગી આપી છે. જેને કારણે શહેરના મુખ્ય બજારોમા ખરીદી કરવા લોકો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. દુકાનો ઉપર પણ ભીડ જોવા મળે છે, તેમજ મુખ્ય માર્ગો પર પણ રાહદારીઓ અને વાહનચાલકોની ભીડ જોવા મળે છે.
પાટણને મળેલી વધુ છુટછાટને કારણે શહેરનું જનજીવન રાબેતા મુજબ બન્યુ છે. જેથી શહેરમાં કોરોના વાઇરસ સંક્રમણના કેશ વધે તેવો ભય લોકોમાં સેવાઈ રહ્યો છે.