પંચમહાલઃ જિલ્લાના ગોધરા ખાતે આવેલી દલુની વાડી પ્રાથમિક શાળામાં નગરપાલિકા કક્ષાના પોષણ અભિયાનના કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના અધ્યક્ષ તરીકે પ્રભારી સચિવ મનોજ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આંગણવાડી કેન્દ્રની મુલાકાત બાદ તેઓનું બાળકીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યારબાદ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય બાદ ખૂલ્લો મુકવામાં આવ્યો હતો.
ગોધરામાં પ્રભારી સચિવ મનોજ અગ્રવાલે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્રારા દાહોદ ખાતેથી પોષણ અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ગ્રામીણ વિસ્તારો બાદ હવે ગોધરામાં નગરપાલિકા કક્ષાના પોષણ અભિયાન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં પ્રભારી સચિવ મનોજ અગ્રવાલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
![ગોધરામાં પ્રભારી સચિવ મનોજ અગ્રવાલે પોષણ અભિયાનનો પ્રારંભ કરાવ્યો ગોધરા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5925494-thumbnail-3x2-gogo.jpg)
આંગણવાડી કાર્યકરો દ્વારા પોષણ આરતી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અને પ્રભારી સચિવ દ્વારા બાળકો માટે અન્નપ્રાસન વિધિ કરવામાં આવી હતી અને પાલક દાતાઓનું પણ સન્માન કરવામા આવ્યું હતું. પોષણ શપથ બાદ કાર્યક્રમની પૂર્ણાહૂતી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમના જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અજય કુમાર શાહ, જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા નીતિનભાઈ પાઠક, નગરપાલિકા પ્રમુખ ઇલેન્દ્રભાઈ પંચાલ તેમજ પાલિકાના કાઉન્સિલરો, આંગણવાડી કાર્યકરો, સંકલિત બાળ વિકાસ વિભાગના અધિકારીઓ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.