- ઓક્સિજનની વધુ જરૂર સાથે આવેલા ત્રણ દર્દીઓ પણ થયા સાજા
- કોરોનાને માત આપનારા તમામ દર્દીઓને તાળીઓના નાદ સાથે અપાઈ રજા
- દર્દીઓએ ડૉક્ટરો અને સંસ્થાનો આભાર માન્યો
નવસારી : જિલ્લામાં કોરોના સંક્રમણ વધતાં હોસ્પિટલો હાઉસફૂલ થતા જિલ્લા ભાજપે દાતાઓના સહયોગથી ઓક્સિજનની સુવિધા સાથે શરૂ થયેલા નમો કોવિડ કેર સેન્ટરમાંથી આજે રવિવારે સાત દર્દીઓએ કોરોનાને માત આપી છે. દર્દીઓને ભાજપી આગેવાનો અને સેન્ટરના સ્ટાફે તાળીઓના ગડગડાટ સાથે ઉત્સાહ વધારતા રજા આપી હતી. જેમાં ત્રણ દર્દીઓ ગંભીર અવસ્થામાં સેન્ટરમાં આવ્યા હતા. જેમને રજા મળતા પરિવારજનોએ સેન્ટરના ડૉક્ટર, સ્ટાફ અને સંસ્થાનો આભાર માન્યો હતો.
આ પણ વાંચો : 28 વર્ષીય યુવક કોરોનાને માત આપ્યા બાદ ઘોડેસવારી કરી ઘરે પરત ફર્યો
વધુ ઓક્સિજનની જરૂર સાથે દાખલ થયેલા દર્દીઓ થયા સાજા
નવસારી જિલ્લામાં એપ્રિલ મહિનામાં કોરોના સંક્રમણ વધતાં જિલ્લાની સરકારી અને ખાનગી હોસ્પિટલો હાઉસફુલ થઈ હતી. જેથી જિલ્લા ભાજપના આગેવાનો દ્વારા દાતાઓના સહયોગથી નવસારી વિજલપોર નગરપાલિકાના પારસી હોસ્પિટલ પાસેના કોમન પ્લોટ નજીક આવેલી એચ. દિપક કંપનીના બંધ પડેલા મકાનમાં 100 બેડની સુવિધા સાથેનું નમો કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું હતુ. જ્યાં 30 બેડ પર અવિરત ઓક્સિજન મળે એ પ્રકારે હવામાંથી ઓક્સિજન જનરેટ કરતો પ્લાન્ટ પણ લગાવ્યો છે. સેન્ટર શરૂ થવાના થોડા દિવસોમાં જ કોરોનાના દર્દીઓની સંખ્યા, અહીં પણ વધી ગઈ હતી. જેમાં ઘણા દર્દીઓનું ઓક્સિજન લેવલ 70- 75 સુધી હોય એવા દર્દીઓને પણ અહીં દાખલ કરવામાં આવ્યા હતા. 10થી વધુ ડૉક્ટરો અને 30થી વધુ નર્સિંગ સ્ટાફ સાથે શરૂ થયેલા આ સેન્ટરમાં દર્દીઓને તમામ સારવાર નિ: શુલ્ક આપવામાં આવે છે.