- PM મોદીનો કચ્છ પ્રવાસ
- PM મોદીના તમામ કાર્યક્રમ કોરોના ગાઈડલાઈન અનુસાર યોજાયા
- હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની ઇ-શિલાન્યાસ વિધિ પૂર્ણ
વડાપ્રધાન મોદીનો કચ્છ પ્રવાસ
કચ્છઃ ભારત-પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સરહદ કચ્છના મોટા રણમાં ધર્મશાળા પાસે દુનિયાનું સૌથી મોટું 30 GWનું હાઈબ્રિડ પુનઃપ્રાપ્ય ઊર્જા પાર્કનું ઇ-શિલાન્યાસ PM મોદીના હસ્તે કરવામાં આવ્યું છે. 72,600 હેક્ટરમાં ફેલાયેલા આ ઊર્જા પાર્કમાં પવન, સૌર અને ઊર્જા સંગ્રહ માટે એક સમર્પિત હાઇબ્રીડ પાર્કનું વડાપ્રધાન મોદીએ ધોરડો ખાતેથી અનાવરણ કર્યું હતું.
450 GW વીજળી ઉત્પાદન 2030 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય
વડાપ્રધાન મોદી દ્વારા 450 GW વીજળી ઉત્પાદન 2030 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે 30 GWના હાઇબ્રિડ એનર્જી પાર્કની આધારશીલા ધર્મશાળા ખાતે આયોજીત કાર્યક્રમમાં રખાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત આમંત્રિત મહેમાનોએ આ ક્ષણને વધાવી લીધી હતી. આ સમગ્ર કાર્યક્રમ કોરોના ગાઈડલાઈન અનુસાર યોજવામાં આવ્યો હતો.
માંડવી ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું
કચ્છના ધોરડો ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વડાપ્રધાન મોદીના હસ્તે અંદાજે રૂપિયા 800 કરોડના ખર્ચે સ્થપાનારા 100 એમ.એલ.ડી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું હતું. આ સાથે જ માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળીયાની ઉપસ્થિતિમાં સમુદ્રના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવાના ડિસેલિનેશન પ્લાન્ટની ભૂમિ પૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પાણી પુરવઠા પ્રધાન કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, દરેક પ્રજાજનોને સ્વચ્છ અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે એ સરકારની પ્રાથમિકતા રહી છે, ત્યારે આજે રાજ્ય સરકારે છેવાડાના માનવી સુધી પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.
8 લાખથી વધુ લોકોને લાભ મળશે
કુંવરજી બાવળીયાએ વધુમાં જણાવ્યું કે, વર્ષ 2019માં PM મોદીએ જલજીવન મિશન અંતર્ગત છેવાડાના માનવીને નળના માધ્યમથી ઘર-ઘર સુધી પીવાનું પાણી મળી રહે તે આશયથી નલ સે જલ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનને સાર્થક કરવા મુખ્યપ્રધાન રૂપાણીની આગેવાની હેઠળ આ દિશામાં મક્કમતાથી કાર્ય થઈ રહ્યુ છે. માંડવીના ગુંદિયાળી ખાતે સ્થપાનારા આ ડિસેલિનેશન પ્લાન્ટમાંથી રોજનું 10 કરોડ લીટર પાણી જિલ્લાના માંડવી, મુન્દ્રા, લખપત, અબડાસા અને નખત્રાણા તાલુકાના 300થી વધુ ગામો-શહેરી વિસ્તારોના 8 લાખથી વધુ લોકોને મળશે.
કોરોના ગાઈડલાઈન પ્રમાણે વ્યવસ્થા આ અંગે ગુજરાત પાણી પુરવઠા ગટર વ્યવસ્થા બોર્ડના સભ્ય સચિવ મયુર મહેતાએ યોજનાકીય પરિચય આપતાં જણાવ્યું કે, ગુજરાતના 1600 કિમી લાંબા દરિયાકાંઠે આવેલી વિશાળ જળરાશિનો ઉપયોગ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ગાંધવી ખાતે 70 એમ.એલ.ડી, ભાવનગર જિલ્લાના ઘોઘા ખાતે 70 એમ.એલ.ડી, કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદિયાળી ખાતે 100 એમ.એલ.ડી. અને ગીર સોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ખાતે 30 એમ.એલ.ડી. ડિસેલિનેશન પ્લાન્ટ સ્થાપવામાં આવશે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીનું સંબોધન મુખ્યપ્રધાને સંબોધન કર્યું
ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માંડવીમાં બનનારા ડિસેલિનેશન પ્લાન્ટથી પ્રતિદિન સમુદ્રના 10 કરોડ લીટર પાણીનું પીવા યોગ્ય બનાવવાની ક્ષમતા છે. માંડવી ઉપરાંત દહેજમાં 10 કરોડ લીટર, દ્વારકા અને ધોધામાં 7 કરોડ લીટર અને ગીર સોમનાથમાં 3 કરોડ લીટર પાણીની ક્ષમતાવાળા ડિસેલિનેશન પ્લાન્ટ આગામી સમયમાં બનશે. જેના પગલે પ્રતિદિન દરિયાનું 37 કરોડ લીટર પાણીને પીવાલાયક બનાવાશે. ગુજરાતે પીવાના પાણીની ઉપલબ્ધિમાં એક આગવું સામર્થ્ય હાંસલ કર્યું છે. જળ સલામતી માટે ગુજરાતે કેળવેલા સામર્થ્યના પાયામાં નરેન્દ્ર મોદીની આગવી સુઝ અને દિર્ઘદ્રષ્ટિ પૂર્ણ સમર્પણ ભાવ રહેલો છે. રાજ્યમાં નદીઓના એકીકરણ, સૌની યોજનાનું નેટવર્ક, સરદાર સરોવર બંધ તેમજ નર્મદા આધારિત વોટરગ્રીડનો લાભ ગુજરાતને મળ્યો છે. આજે સુજલામ સુફલામ જળઅભિયાનના પગલે વરસાદના પાણીને જમીનમાં ઉતારવામાં ગુજરાત અગ્રેસર રહ્યું છે.