નર્મદાના નીરથી ટપ્પર ડેમ છલકાયો, કચ્છવાસીઓએ કરી પૂજા
કચ્છઃ જિલ્લાની જીવાદોરી સમો ટપ્પર ડેમ નર્મદા મૈયાના નીરથી છલકાતાં આનંદનો ઉત્સવ છવાઇ ગયો હતો. વિશાળ જળરાશીથી ભરેલાં ટપ્પર ડેમને વિધિવત પૂજનવીધિ બાદ પુષ્પો, લાલ ચુંદડી-નાળીયેર નર્મદા મૈયાની જળરાશીમાં અર્પણ કરી વધામણાં કરાયાં હતા. વિશાળ જનસમૂદા પણ ટપ્પર ડેમનાં છલકાતાં નર્મદા મૈયાના નીરના દર્શનથી આનંદવિભોર બની ઝૂમી ઉઠ્યો હતો.
સામાજીક શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસનપ્રધાન વાસણભાઈ આહિરે આવી પળો કચ્છ માટે ખૂબ ભાગ્યશાળી હોવાનું જણાવતાં ટપ્પર નદી જાણે ગંગા-જમનાજી જેમ વહી રહી છે, તેવો આનંદ-ઉત્સાહનો ભાવ વ્યકત કર્યો હતો. મોડકુબા સુધી નર્મદા નીર પહોંચાડવાની રાજય સરકારની નેમ વ્યકત કરી ઉમેર્યું હતું કે, સમગ્ર કચ્છને પીવાનું પાણી પુરૂ પાડતાં કચ્છની જીવાદોરી ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરી દેવાનું સમણું સાકાર થતાં હવે શિણાય ડેમ અને રૂદ્રમાતા ડેમને પણ નર્મદા નીરથી ભરવાની પણ તૈયારીઓ આરંભાઇ હોવાનું જણાવ્યું હતું. સ્વામિનારાયણ મંદિરના સંત શ્રી બાલકૃષ્ણ સ્વામી અને સચ્ચિદાનંદ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે આશીર્વચન પાઠવ્યાં હતા.