કચ્છઃશ્રુજનના લિવિંગ એન્ડ લર્નિંગ ડિઝાઈન સેન્ટર હસ્તકલા અને કારીગીરી ક્ષેત્રે (Ahir and Meghwal Gurjar community)છેલ્લા છ વર્ષથી કઈકને કઈંક નવીનતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. જે રીતે સંસ્થાના સ્થાપક સ્વ.ચંદાબહેન શ્રોફ કે જેઓ સર્જનાત્મકતા એટલે કે નવું નવું સર્જવાનું અને એ થકી કચ્છની કલા કારીગરીને નવી ઉંચાઈ અને ગરિમા બક્ષવાનું સ્વપ્ન સદા સેવતા આવ્યા હતા. તેને સાકાર કરવા શ્રૃજન સદા સતત પ્રતિબદ્ધ રહી, કાર્ય આગળ ધપાવી રહ્યું છે.
અન્ડર ધી એમ્બ્રોઇડર્ડ સ્કાય ગેલેરી શરૂ કરવામાં આવી -આ કાર્યના જ એક ભાગ રૂપે વિવિધ ભરત ભરતી જાતિઓ (Embroidery of Ahir and Meghwal)પૈકી આહીર અને મેઘવાળ ગુર્જર સમુદાયની વિવિધતાઓ, લાક્ષણીકતાઓ, ગુણવત્તાઓ અને શ્રેષ્ઠતાને સમુચિત સન્માન અને યોગ્યતા પ્રદાન કરવા અને તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતી અપાવવા હાલના ક્રાફ્ટ મ્યુઝીયમમાં કાર્યરત “લિવિંગ એમબ્રોઈડરીઝ ઑફ કચ્છ" ની મુખ્ય ગેલેરી અને "ઇન્સ્પિરેશન ગેલેરી" ઉપરાંત તેની સાથે એક નવી જ ગેલેરી "અન્ડર ધી એમ્બ્રોઇડર્ડ સ્કાય" (ભરત ભરેલાં આકાશ નીચે) શરૂ કરવામાં આવી છે.
આહીર અને મેઘવાળ ગુર્જર સમુદાયની વિશિષ્ઠતા દર્શાવાઈ -આહીર અને મેઘવાળ ગુર્જર સમુદાયની(culture of Ahir and Meghwal Gurjar caste)વિશિષ્ઠ અને અનોખી એમ્બ્રોઇડરીનું ફલક તો શરૂઆતથી લઈને અત્યાર સુધીની અવિરત સફરના માઈલ સ્ટોન્સ સાથે દર્શાવવામાં આવ્યું છે. પરંતુ તદુપરાંત તેની પાછળની રોચક માહિતીઓ, લોકકથાઓ, માન્યતાઓ, રીત રીવાજો અને સંસ્કૃતિને વિવિધ ઓડિયો-વિડીઓ, ઈન્ટરવ્યું અને લોક ગીતો, તેમજ આધુનિક ઢબે ઓડિયો-વિઝ્યુઅલ સંશાધનો જેવા કે પ્રોજેક્ટર, એલ.ઈ.ડી.અને કિઓસ્ક મારફતે લોકોપયોગી થાય તેમ બનાવવામાં આવ્યું છે.
ગામની પાદરે શૌર્ય અને ખુમારી સાથે ઉભેલા પાળીયાઓ -નવી ગેલેરીમાં પ્રવેશતાં જ જાણે કચ્છના કોઈ આહીર - મેઘવાળ ગુર્જરના ગામમાં પ્રવેશતા હોઈએ તેવો અહેસાસ કરાવે છે. ગામની પાદરે શૌર્ય અને ખુમારી સાથે ઉભેલા પાળીયાઓ, તો જુનું ઘર, રાચરચીલું, વસ્ત્રો તોરણીયા અને લગ્નગીતો થકી આબેહુબ દૃશ્યો અને સંસ્કૃતિની ઝલક મળે છે. તો શ્રુજન સાથેની આ સમુદાયોની તબક્કાવાર યશસ્વી સફર, પડાવો, અનુભવો અને ગૌરવગાથા પણ સરસ રીતે વર્ણવવામાં છે. ડીઝાઇન સેન્ટર ઓન વ્હીલ્સ (DCOW) પ્રોજેક્ટ સમયે આ સમુદાયો મારફતે તૈયાર કરાયેલ નમૂનેદાર એમ્બ્રોઇડરી પેનલ્સને આ ગેલેરીમાં માનભેર સ્થાન આપવામાં આવ્યું છે.
આહીર સમુદાય માટે પશુઓ માટે કિંમતી -આહીર પહેલ વહેલો સમુદાય હતો કે જેણે કચ્છમાં નાના પાયે ખેતી ચાલુ કરી હતી. ખેતી સાથે જ તેમનો પશુ પ્રેમ પણ બહાર આવ્યો. એક વડીલના કહેવા પ્રમાણે તેમની પાસે ખેતરો હતાં અને તેમની પાસે ખેડવા માટે બળદો હતાં. દરેક કુટુંબ પાસે ઓછામાં ઓછી એક તો બળદની જોડી હતી જ તેઓ કહેતા ઢાંઢાં તો અમારા હાથ-પગ કહેવાય. તેમને એની હાથ પગ જેટલી જ જરૂર રહેતી. બળદો માટે પણ શણગાર ભરાતાં, જે તેમનો પશુ પ્રત્યેનો લગાવ દર્શાવે છે. વિવિધ જાતના છ શણગાર, જેમાં સૌથી મોટી ઝૂલ હોય, જે એક ભરતકામવાળી શાલ હોય છે, જે તેના આખા શરીરને ઢાંકે છે. તેની ખૂંધ માટે પણ ખાસ વધારાનો એક ભાગ ભરે છે.
આહીર સમુદાયનો ઇતિહાસ અને ઓળખ -હજારો વર્ષો પહેલા આહીરોના પૂર્વજો ઉત્તર ભારતના મથુરામાં ભગવાન શ્રી કૃષ્ણ સાથે વસતાં હતાં. જ્યારે કૃષ્ણ ભગવાને મથુરા છોડયું ત્યારે આહીરોના એક જૂથે પણ તેમની સાથે મથુરા છોડ્યું પણ તેઓ દ્વારકા ન જઈને પ્રાચીન સિંધમાં થરપાકરમાં વસ્યાં. અને તેથી જ ઘણાં વર્ષોથી થરપાકરમાં આહીરોના જૂથો હતા.
આહીર સમુદાયના અલાયદા પેટા જૂથો -લગભગ 700 થી 800 વર્ષ પહેલા, આ સમુદાય થરપાકર છોડી કચ્છ પહોંચ્યું. આ સમુદાય જૂથોમાં વહેંચાયા, દરેક જૂથ જુદા રસ્તા લઈ કચ્છના અલગ અલગ વિસ્તારમાં સ્થાઈ થયા.આજે, આ દરેક જૂથો આહીર સમુદાયના અલાયદા પેટા જૂથો છે. જેવા કે, પ્રાંથળિયા આહીર, મચ્છોયા આહીર, બોરીચા આહીર અને સોરઠીયા આહીર છતાંય, બધા પોતાને, સૌથી પહેલાં તો, આહીર જ ગણે છે.
સહઅસ્તિત્વએ આહીરોનો ઇતિહાસ અને માનવતાનો એક ભાગ -આહીર સમુદાયને રજવાડા સાથે ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે. વિશ્વાસુ અને વફાદાર રક્ષકો અને સૈનિક હોવાનો અમને ગર્વ છે. તમે કોઈ પણ આહીરના ઘરમાં જશો, તો સૌથી અંદરના ઓરડાંમાં તમને ભરત ભરેલાં મ્યાન સાથેની તલવાર લટકતી જોવા મળશે. કચ્છના રાજાએ આહીરોને જમીન આપી. આહીરોએ ઘણાં ગામો સ્થાપ્યા – ધાણેટી, રતનાલ, સુમરાસર.બીજા બધા સમુદાયો પણ આહીરો સાથે રહેતાં મુસ્લિમો, બાવા, સાધુ, મેઘવાળ ગુર્જર આમ સહઅસ્તિત્વએ આહીરોનો ઇતિહાસ અને માનવતાનો એક ભાગ છે.
આહીર પેટા જૂથના ભરતકામના કેટલાક વિશિષ્ટ લક્ષણો -હાલમાં આહીરનાં પ્રાંથળિયા, મચ્છોયા અને બોરિચા પેટા જૂથો દ્વારા ભરત કરવામાં આવે છે. જેવા કે, વિશાળ બુટ્ટાઓ, પ્રબળ રંગો, પુષ્કળ આભલાંઓનો વપરાશ, ગીચ ભરતકામની હાજરી દરેક પેટા જૂથના ભરતકામના વિશિષ્ટ લક્ષણો હોય છે. ખાસ બુટ્ટાનો ઉપયોગ, જેમ કે કેરી, નાળિયેર અને કરચલાં આકારની કોડી – પ્રાંથળિયા પેટા જૂથ ના ભરતકામને અલગ પાડે છે. પ્રાથળિયામાં પણ, કેટલાક વિસ્તારમાં રહેતી કારીગર બહેનો અમુક ભરતકામની વિગતો માટે ચોક્કસ હોય છે.
બોરીચા કારીગર બહેનો ઉચ્ચ કક્ષાના કટાબ કામ માટે પ્રચલિત -મચ્છોયા પેટા જૂથ બે બુટ્ટાઓનો એ ભરપૂર ઉપયોગ કરે છે. કાનુડાનો બુટ્ટો અને દૂંગાનો બુઢ્ઢો જેને મચ્છોયા ગોટો કહે છે. જે પીળા અને સફેદ રંગમાં ભરાય છે. બોરીચા કારીગર બહેનો ઉચ્ચ કક્ષાના કટાબ કામ માટે પ્રચલિત છે જેમાં તેઓ તેની ઉપર આહીરના બહુ પ્રચલિત બુટ્ટાઓ અને કોર ભરે છે. તેમ છતાં આ પેટા જૂથની કારીગર બહેનો બીજા બે પેટા જૂથની બહેનોની સરખામણીમાં તેમના જેટલું પુષ્કળ ભરતકામ કરતી નથી.