- ભેસાણ શહેરમાંથી તરૂણીનું થયું અપહરણ
- રાજુ સરવૈયા નામનો સમઢીયાળા ગામના યુવકે યુવતીનું કર્યું અપહરણ
- સગીરાને શિશુ મંગલમાં અને આરોપી યુવકને પોલીસ કસ્ટડીમાં રખાયો
જૂનાગઢઃ 15 માર્ચના રોજ જૂનાગઢ જિલ્લાના ભેસાણ શહેરમાંથી એક સગીરાનું અપહરણ થયું હોવાની પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. અપહરણ થયેલી સગીરાના માતા-પિતા દ્વારા પોલીસમાં એવી કેફિયત આપવામાં આવી હતી કે, તેમની સગીર પુત્રીનું અપહરણ થયું છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના સમઢીયાળા ગામનો રાજુ સરવૈયા નામનો યુવકે યુવતીનુ અપહરણ કર્યું છે. જેને ધ્યાને રાખીને જૂનાગઢ પોલીસે સગીરાના માતા-પિતાની પોલીસ ફરિયાદને આધારે સમઢીયાળા ગામમાં તપાસ કરતા સગીરા અને તેનું અપહરણ કરનાર યુવકને ઝડપી પાડવામાં આવ્યો હતો.
આ પણ વાંચોઃએકતરફી પ્રેમીએ સુરત આવી યુવતીનું અપહરણ કર્યું
આરોપી યુવક પોલીસ સકંજામાં સગીરાને મોકલાઈ શિશુમંગલ
પોલીસે અપહરણ કરાયેલી સગીરા અને તેનું અપહરણ કરનારા રાજુ સરવૈયાને જૂનાગઢ લાવીને પૂછપરછ હાથ ધરી હતી. પોલીસ દ્વારા સગીરાને ખૂબ સમજાવટથી પોતાના માતા-પિતાના ઘરે પરત ચાલી જવા માટે અનેક વખત પ્રયાસ કરાયા હતા પરંતુ સગીરા પોતાના માતા-પિતાના ઘરે પરત ફરવાનો સ્પષ્ટ મનાઇ કરી રહી હતી જેથી પોલીસ દ્વારા સગીરાને શિશુ મંગલમાં મોકલી આપી હતી અને આરોપી રાજુ સરવૈયાને મેડિકલ તપાસ બાદ વધુ આકરી પૂછપરછ માટે પોલીસ કસ્ટડીમાં રાખવામાં આવ્યો છે. સગીરા અગાઉ ઉના તાલુકામાં અભ્યાસ કરતી હતી, ત્યારે તે પણ સમઢીયાળા ગામમાં રહેતી હોવાની પોલીસને વિગતો પ્રાપ્ત થઇ છે, ત્યારે આ સમય દરમિયાન સગીરા અને તેનું અપહરણ કરનારા રાજુ સરવૈયાને કોઈ પ્રેમ સંબંધ બંધાયો હશે તેવી શક્યતાને જૂનાગઢ પોલીસ નકારી રહી નથી. પ્રેમ સંબંધમાં જ સગીરાનું અપહરણ રાજુ સરવૈયા દ્વારા કરવામાં આવ્યું હશે, તેવી શંકાને આધારે જૂનાગઢ પોલીસ વધુ તપાસ કરી રહી છે.
આ પણ વાંચોઃદિલ્હીથી અપહરણ થયેલી 9 વર્ષીય બાળકીનો મૃતદેહ UPમાંથી મળ્યો, 4 આરોપીની ધરપકડ