- એશિયાનો સૌથી મોટો ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત
- મુખ્યપ્રધાન રૂપાણીએ રોપવેમાં બેસીને અંબાજી માતાના દર્શન કર્યા
- ગિરનાર મંડળના અગ્રણીઓએ રોપ-વેના કર્યા વધામણા
જૂનાગઢઃ જિલ્લામાં બનેલો એશિયાનો સૌથી લાંબો ગિરનાર રોપ-વે આજે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યો છે. વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ મીડિયાના માધ્યમથી ગિરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો, ત્યારે જૂનાગઢમાં મુખ્યપ્રધાન રૂપાણીએ હાજરી આપી હતી અને રોપ-વેમાં બેસીને ગિરનાર પર્વત પર આવેલા અંબાજી માતાના દર્શન પણ કર્યા હતા.
60 વર્ષ બાદ જૂનાગઢમાં બનેલો ગિરનાર રોપ-વે આજે રાષ્ટ્રને સમર્પિત વડાપ્રધાન મોદીએ કર્યું ઉદ્ઘાટન
વડાપ્રધાન મોદીએ દિલ્હીથી વર્ચ્યુઅલ મીડિયાના મારફતે એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વેને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો. ત્યારે જૂનાગઢની ભવનાથ તળેટીમાં મુખ્યપ્રધાન રૂપાણીએ હાજરી આપીને ગિરનાર રોપ-વેને વિધિવત રીતે પ્રસ્થાન કરાવ્યું હતું કે, તેમની સાથે તેમની મંત્રી પરિષદના સદસ્યો જવાહર ચાવડા અને સૌરભ પટેલ સહિત જૂનાગઢ ગિરનાર મંડળના સાધુ-સંતો અને અગ્રણી લોકોએ આ શુભ પ્રસંગે હાજરી આપીને ગિરનાર રોપ-વેને વધાવ્યો હતો.
વડાપ્રધાન મોદીનો ડ્રીમ પ્રોજેકટ
પાછલા 60 વર્ષથી ગિરનાર રોપ-વે અનેક અડચણોનો સામનો કરતું આવ્યું હતું પરંતુ વડાપ્રધાન મોદીના સપના સમા આ પ્રોજેક્ટને સાકાર થવા માટે ખૂબ લાંબી સફર કાપવી પડી હતી. આ તકે મોટી સંખ્યામાં ગીરનાર સાધુ મંડળના સંતો મહાનુભાવો અને અગ્રણી રાજકીય નેતાઓ પણ હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં સામાન્ય પ્રવાસીઓને પણ પ્રવાસ કરવા માટેની મંજૂરી આપવામાં આવશે, ત્યારે રોપવેનો ખરો મિજાજ લોકો જાણી અને માણી શકશે. અને સમગ્ર વિશ્વમાં ગિરનાર પ્રવાસનનું હબ બનતું જોવા મળશે.