ગીર અને જુનાગઢ પંથકમાં સમગ્ર વિશ્વમાં જેની માગ છે, તેવી કેસર કેરીની ખેતી ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. જેને કારણે આ વિસ્તાર સિંહો બાદ કેસર કેરી માટે પણ જગ વિખ્યાત છે, પરંતુ આ વિસ્તારમાં આટલા મોટા પ્રમાણમાં કેસર કેરીની ખેતી થતી હોવા છતાં રાજ્ય સરકાર તરફથી કોઈ વિશેષ સવલતો કેરીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતોને આજદિન સુધી આપવામાં આવી નથી. જેને લઈને ખડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ખેતીને લઈને પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે ગીર અને જૂનાગઢ પંથકના ખેડૂતો કે જે કેસર કેરીની ખેતી સાથે સંકળાયેલા છે. તેવા ખેડૂતો આજે ઓર્ગેનિક ખેતી તરફ વળી રહ્યા છે. રાજ્ય સરકાર ખેડૂતોને ઉન્નત પદ્ધતિ દ્વારા ખેતી કરવાની સલાહ આપી રહી છે, પરંતુ ખાસ કરીને ફળ પાકોમાં ઓર્ગેનિક ખેતી માટે રાજ્ય સરકાર દ્વારા કોઈ વિશેષ સવલત ખેડૂતોને આજ દિન સુધી આપવામાં આવી નથી.