જૂનાગઢ: શહેર દિવસેને દિવસે ટ્રાફિક જામ શહેરમાં તબદીલ થઇ રહ્યું છે. દરરોજ ટ્રાફિકની સમસ્યાને લઈને અનેક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યોં છે. તેમ છતાં જિલ્લા વહીવટી તંત્ર અને મનપાના અધિકારીઓના પેટનું પાણી પણ હલતું નથી. જેને લઈને ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બીમારીનું રૂપ ધારણ કરી રહી છે. જેમાં સોમવારે બપોરના સમયે આઝાદ ચોકમાં 2 કલાક માટે ટ્રાફિકજામ સર્જાયો હતો.
જૂનાગઢમાં ટ્રાફિક જામ સર્જાયો, લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો
જૂનાગઢમાં દિવસેને દિવસે ટ્રાફિકની સમસ્યા ગંભીર બિમારીનું રૂપ ધારણ કરી રહી છે. સોમવારે બપોરના સમયે આઝાદ ચોકમાં 2 કલાક માટે ટ્રાફિક જામ સર્જાયો હતો. જેમાંથી સ્થાનિક સામાજિક કાર્યકરોએ વાહન ચાલકોને મુક્તિ અપાવી હતી.
આ ટ્રાફિકમાં 108 ફસાતા આઝાદ ચોક વિસ્તારના સામાજિક કાર્યકરોએ એમ્બ્યુલન્સને બહાર કાઢવામાં મદદ કરી હતી. એમ્બ્યુલન્સ હોસ્પિટલ સમયસર પહોંચી જતા તેમાં રહેલા બિમાર વૃદ્ધને સદનસીબે કોઈ નુકસાન પહોંચ્યું ન હતું, પરંતુ ટ્રાફિક જામમાં એમ્બ્યુલન્સ ફસાઈ હોત તો કંઈ પણ દુઃખદ ઘટના બની હોત. જૂનાગઢ શહેર ટ્રાફિક જામના શહેર તરીકે ઓળખાઈ રહ્યું છે. ત્યારે આઝાદ ચોક, વૈભવ ચોક, સરદાર બાગ, એસ.ટી સ્ટેન્ડ વિસ્તાર સહિતના વિસ્તારોમાં અવાર નવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ રહ્યાં છે. જે આગામી દિવસોમાં વધુ સમસ્યા સર્જે તે પહેલા કોઈ કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી માગ જૂનાગઢ શહેરના સામાજિક આગેવાનો કરી રહ્યા છે.