- ઇન્ટર્ન તબીબો સાથે ભેદભાવ ભર્યા વલણથી જામનગરમાં વિરોધ
- કોરોના કાળમાં પણ હોસ્પિટલમાં રાતદિન સતત કામ કર્યું
- સમસ્યા નહીં ઉકેલાય તો રાજયભરના તબીબો હડતાળ પર જશે
જામનગર : રાજ્યભરમાં મેડિકલ કોલેજ સાથે તેમજ અન્ય શહેરોની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલા હજારો ઇન્ટરર્ન તબીબો મોંઘવારીના યુગમાં ઓછા વેતનથી કામ કરી રહ્યા છે. તેઓની પાસે તબીબી ડિગ્રી છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, તબીબી ડીગ્રી ન ધરાવતા વિજ્ઞાનના સ્નાતકોને સરકાર વધુ પગાર આપે છે. પરંતુ આ ડિગ્રી ધરાવતા ડોકટરો સાથે સરકાર ઘોર અન્યાય કરી રહી છે. એવું જામનગરમાં આજે પત્રકારો સમક્ષ તબીબોએ જણાવ્યું છે. જો સરકાર તેઓની લાગણી અને માગણીની સમસ્યા નહીં ઉકેલે તો આગામી 14મી ડિસેમ્બરથી જામનગરના 850 જેટલા તબીબો સહિત રાજયભરના તબીબો હડતાળ પર જશે.
કોરોના કાળ દરમિયાન એપ્રિલ મહિનાથી માંડીને આજની તારીખ સુધી આ તબીબોએ સરકારી હોસ્પિટલમાં રાતદિન જોયા વિના સતત કામ કર્યું છે. આ દરમિયાન 150 જેટલા તબીબો કોરોના સંક્રમિત થયા હતા. સ્વસ્થ બન્યા પછી તબીબો ફરીથી ફરજમાં જોડાયા છે. આ તબીબોને માસિક રૂપિયા 12,000 આપવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તબીબ છાત્રોની સરખામણીએ જામનગરના તબીબોને ખૂબ ઓછું વેતન આપવામાં આવે છે. આ તબીબોએ માંગણી કરી છે કે, સરકારી મેડિકલ કોલેજોમાં ફરજ બજાવતા તમામ તબીબોનું સ્ટાઈપેન્ડ માસિક રૂપિયા 20,000 કરવામાં આવે અને એપ્રિલ 2020થી લાગુ કરવામાં આવે.