ગુજરાત

gujarat

બાળકોનું ધ્યાન રાખજો; નવા વાયરસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક, કોરોના સમયની તૈયારીઓ ફરી શરૂ કરાઈ

By ETV Bharat Gujarati Team

Published : Nov 29, 2023, 2:59 PM IST

ચીનની નવી રહસ્યમય બીમારીને પગલે રાજ્ય સરકાર એલર્ટ થઈ છે. અમદાવાદમાં 300 બેડ સાથે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 50થી વધારે ICU બેડ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે. જાણો આ નવા વાયરસ સામે કેટલી સજ્જ છે ગુજરાત સરકાર ?

નવા વાયરસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક
નવા વાયરસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક

નવા વાયરસને લઈને ગુજરાતનું આરોગ્ય તંત્ર સતર્ક

અમદાવાદ: ચીનમાં કોરોના બાદ હવે નવો વાયરસ સામે આવ્યો છે કે નાના બાળકોને ટાર્ગેટ કરી રહ્યો છે. શરૂઆતમાં આ વાયરસ શરદી, તાવ અને ઉધરસના લક્ષણો ધરાવે છે અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે ન્યુમોનિયાના સ્વરૂપમાં બાળકો ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે. આ વાયરસને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકાર દ્વારા તમામ રાજ્યોને એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત ગુજરાત સરકારે પણ રાજ્યની તમામ સરકારી સિવિલ હોસ્પિટલ, જનરલ હોસ્પિટલ, સીએચસીપીએચસી સેન્ટરો અને ખાનગી હોસ્પિટલોને તકેદારીના ભાગરૂપે એલર્ટ રહેવાની સૂચના આપી છે. રાજ્ય સરકારના પરિપત્ર બાદ સરકારી હોસ્પિટલો એલર્ટ મોડ પર જોવા મળી રહી છે.

કોરોના સમયની તૈયારીઓ ફરી એક્ટિવ:રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન અનેક લોકોના મૃત્યુ થયા હતા અને હોસ્પિટલમાં બેડ પણ પ્રાપ્ત થઈ શક્યા ન હતા. ત્યારે તત્કાલીન મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોરોનાની ત્રીજી લહેર દરમિયાન ખાસ તૈયારીઓ કરી હતી તે જ તૈયારીઓ હવે નવા વાયરસની ગંભીરતાને જોતા ફરી એક્ટિવ કરવામાં આવી હોવાનું નિવેદન રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી અને આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે આપ્યું છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે H9N2 પ્રકારના આ વાયરસના જોખમને જોતા રાજ્ય સરકાર દ્વારા તમામ તૈયારીઓની સૂચના તમામ જિલ્લા તંત્રને આપી દેવામાં આવી છે.

ચીનમાં આવેલો નવો વાયરસ એ સામાન્ય લક્ષણોથી બાળકો ઉપર એટેક કરે છે. પહેલા બાળકોને સામાન્ય શરદી, ઉધરસ અને તાવના લક્ષણો સામે આવે છે અને તરત જ ન્યુમોનિયામાં આ વાયરસ નવું સ્વરૂપ ધારણ કરે છે. જેથી બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. કોઈપણ બાળકને અમુક દિવસથી વધારે ઉધરસ કે તાવ હોય તો તાત્કાલિક ધોરણે ડોક્ટરને બતાવીને જ દવા આપવી ઉપરાંત પોતાની રીતે દવા ન આપવી. - ડૉક્ટર રાકેશ જોશી, સિવિલ સુપ્રિટેન્ડન્ટ

જો ચાઈનાથી આ વાયરસ ભારત અને દેશમાંથી ગુજરાતમાં આવે તો તેને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. આ બાબતે અમદાવાદ સિવિલ સુપ્રિટેન્ડન્ટ રાકેશ જોશીએ નિવેદન આપ્યું હતું કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 300 બેડ સાથેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત 50થી વધુ સ્પેશિયલ ડોક્ટર કાર્યરત થયા છે. જે રીતે આ વાયરસના લક્ષણો છે તેમાં ઓક્સિજન વેન્ટિલેટરની જરૂર પડી શકે છે. ત્યારે બે લાખ મેટ્રિક ટન કેપેસિટી ધરાવતા ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત 50થી વધારે ICU બેડ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ:ગુજરાતમાં સરકારી હોસ્પિટલમાં બાળકોના બેડની સંખ્યાની વાત કરવામાં આવે તો કોરોનાની ત્રીજી લહેર દરમિયાન રાજ્ય સરકારે બેડની સંખ્યામાં વધારો કરીને 4000 બેડની સંખ્યા કરી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં હાલ 500થી વધુ વેન્ટિલેટર, 20,000 લીટર કેપેસિટીના ઓક્સિજન મશીન, 3500 ઓક્સિજન કૉન્સ્ટ્રેશન, તમામ ઓક્સિજન બેડ અને માનવ સંસાધન પણ ઉપલબ્ધ છે.

  1. Nipah Virus Updates: નિપાહ વાયરસ કેવી રીતે ફેલાય છે, શું છે તેના લક્ષણો, કેરળની શું છે સ્થિતિ? જાણો વિગતો
  2. કોરોના વાયરસ બાદ વધુ એક મહામારી આપશે દસ્તક, આરોગ્ય વિભાગે કર્યા લોકોને સચેત...

ABOUT THE AUTHOR

...view details