ગુજરાત

gujarat

By

Published : Aug 29, 2020, 3:33 PM IST

ETV Bharat / state

ખેડૂતોના કલ્યાણની દિશામાં રાજય સરકારે નક્કર પગલા લીધા: રાજય પ્રધાન બચુભાઇ ખાબડ

ખેડૂતો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નક્કર પગલા ભર્યા છે અને નવીન યોજનાઓ ખેડૂતોના કલ્યાણ માટે રાજયભરમાં શરૂ કરી છે.

ખેડૂતોના કલ્યાણની દિશામાં રાજય સરકારે નક્કર પગલા લીધા
ખેડૂતોના કલ્યાણની દિશામાં રાજય સરકારે નક્કર પગલા લીધા

દાહોદઃ ખેડૂતો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નક્કર પગલા ભર્યા છે અને નવીન યોજનાઓ ખેડૂતોના કલ્યાણ માટે રાજયભરમાં શરૂ કરી છે.

આ યોજનાઓની માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ દેવગઢ બારીયાની પીટીસી કોલેજ ખાતે યોજાયો હતો. રાજય પ્રધાન બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરે ખેડૂતોને આ સાતેય યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી હતી.

આ પ્રસંગે રાજયપ્રધાન બચુભાઇ ખાબડે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, વિજય રૂપાણીએ સાત પગલા ખેડૂતોના કલ્યાણના તાકીદના સમયે લીધા છે. જે માટે તેમને ધન્યવાદ આપવા ઘટે. રાજય દ્વારા વિકાસની દિશામાં કરવામાં આવતી પહેલ સમગ્ર દેશમાં ઉદાહરણરૂપ અને અનુકરણીય બનતી હોય છે.

તેમણે જણાવ્યું કે, અઢી દાયકા અગાઉની સરખામણીમાં રાજયનું કૃષિ ઉત્પાદન અત્યારે બાર ગણું થયું છે. અઢી દાયકા પહેલા ખેડૂતોની સ્થિતિ અને આજની સ્થિતિમાં મોટો તફાવત જોવા મળશે. ભૂતકાળમાં ખેડૂતો ખાતર-બિયારણ વગેરે માટે મોટા વ્યાજે પૈસા લાવતા હતા. જયારે અત્યારે ખેડૂતોના ધિરાણના વ્યાજના 3 ટકા કેન્દ્ર અને 4 ટકા રાજય સરકાર ભોગવે છે. અઢી દાયકા પહેલા 35 લાખ હેક્ટરમાં ખેતી થતી હતી જયારે અત્યારે 75 લાખ હેક્ટરમાં ખેતી થાય છે. આજે દેશમાં ખેત ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે.

તેમણે જણાવ્યું કે, ખેડૂતોના મુશ્કેલ સમયમાં રાજય સરકાર હંમેશા તેમના પડખે રહી છે. અમારી સરકાર નક્કર આયોજન કરીને નક્કર પરીણામ આપનારી સરકાર છે. આ વખતે પણ સરકારે ટેકાના ભાવે 6 હજાર કરોડની રકમથી 12 લાખ મેટ્રિક ટન અનાજની ખરીદી કરી છે. ઉપરાંત ખાતર-બિયારણમાં પણ ખેડૂતોને મોટી સહાય કરવામાં આવી છે. દાહોદમાં 1200 કરોડની પાણીની કડાણા યોજના થકી દરેક તાલુકાના તળાવ છલકાશે. ઉપરાંત 133 કરોડની પાણીની હાફેશ્વર યોજના થકી નદી-નાળા-તળાવ ભરાતા ખેડૂતો સમૃદ્ધ થશે અને પાણીની સમસ્યામાં મોટી રાહત થશે. સાથે ઘરે ઘરે નલ સે જલ યોજના અંતર્ગત પાણી પહોંચતું કરાશે.

સાંસદ જશવંતસિંહ ભાભોરે આ પ્રસંગે જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ સાતેય યોજનાઓ વિશે પૂરા માહિતગાર થાઓ અને તેનો લાભ મેળવો. વરસાદની અનિયમિતતાને કારણે ખેડૂતોને નુકશાન વેઠવાનો વારો આવે છે. આવા પ્રસંગે રાજય સરકારની આ યોજનાઓ ખેડૂતો માટે સાચી મદદગાર સાબિત થશે. સાંસદ ભાભોરે આ સાતેય યોજનાઓની વિસ્તારપૂર્વક માહિતી ખેડૂતોને આપી હતી. કાર્યક્રમમાં ઉપસ્થિત તજજ્ઞોએ ખેડૂતોને રાજય સરકારની વિવિધ યોજનાઓની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી..

ABOUT THE AUTHOR

...view details