ઓ.પી. કોહલીને ફરીથી એક્સટેન્શન આપવાની ચર્ચાઓ થતી હતી, પરંતુ તેવું થયું નથી. સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન તેમની છબી પણ સ્વચ્છ રહી છે. તેઓ ગુજરાતના 24માં રાજ્યપાલ છે. 16મી જુલાઇ 2014ના રોજ ઓમ પ્રકાશ કોહલીને ગુજરાતના રાજ્યપાલ પદે નિયુક્ત કર્યા હતા. કોહલી શિક્ષણવિદ્દ છે અને રાજ્યસભાના પૂર્વ સભ્ય છે. દિલ્હી ભાજપમાં તેઓ સક્રિય હતા. વડાપ્રધાન મોદી સાથે તેમને સારા સબંધો હોવાથી તેમની નિયુક્તિ ગુજરાતના રાજ્યપાલ તરીકે કરવામાં આવી હતી. કોહલી દિલ્હી ભાજપના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે.
ગવર્નર ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂર્ણ, કોણ બનશે ગુજરાતના ગવર્નર?
ગાંધીનગરઃ ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલીનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેથી અમદાવાદમાં તેમને વિદાય આપવા માટે વિદાય સમારંભ યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી પણ હાજર રહેશે. કોહલી નિવૃત થતા હોવાથી કેન્દ્ર સરકારે ગુજરાતમાં નવા રાજ્યપાલની નિયુક્તિ તેજ કરી છે.
રાજ્યપાલ કોહલીએ ગાંધીનગરમાં રાજભવનના કર્મચારીઓના બાળકોને ભણાવવા માટે તેમજ અનેક કલ્યાણકારી કામો કર્યા છે. તેમની સારી કામગીરીની કદર રૂપે કેન્દ્ર સરકાર તેમની પુનઃનિયુક્તિ કરે તેવી ચર્ચા હતી, પરંતુ આજે વિદાય સમારંભ જાહેર થતા તે ચર્ચાઓ પર રોક લાગી ગઈ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, હવે જ્યાં સુધી ગુજરાતમાં રાજ્યપાલની નિમણૂક ન થાય ત્યાં સુધી મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલને ગુજરાતના રાજ્યપાલના ચાર્જ સંભાળી શકે છે. તો હવે જોવું રહ્યું કે, ગુજરાતમાં રાજ્યપાલ તરીકે કોણ આવશે.