આગામી દિવસોમાં દિવાળીના તહેવારો આવી રહ્યા છે. ત્યારે ભાવનગર DIG રેન્જ હેઠળના ત્રણ જીલ્લા ભાવનગર-અમરેલી અને બોટાદના પોલીસવડા સાથે DIG અશોકકુમાર યાદવે આજે ક્રાઈમ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમની સાથે LCB-SOGના પોલીસ અધિકારીઓ પણ જોડાયા હતા.
સૌપ્રથમ DIG દ્વારા ત્રણેય જીલ્લામાં હાલની ક્રાઈમની સ્થિતિ અંગે માહિતી મેળવવામાં આવી હતી. તેમજ આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોમાં કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસતંત્રને એલર્ટ રહેવા જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
આગામી 21 ઓકટોબરના રોજ શહીદ દિનની ખાસ ઉજવણી કરવામાં આવનાર હોય જેમાં તારીખ 20 અને 21 ઓકટોબરના રોજ ભાવનગર-અમરેલી ખાતે ગુજરાતના નામાંકિત કલાકારો દ્વારા ભવ્ય લોકડાયરો પણ યોજાનાર છે. તેમાં સહભાગી બનવા ત્રણેય જીલ્લાના લોકોને આમંત્રણ પાઠવ્યું હતું.
ભાવનગર DIG દ્વારા ક્રાઈમ કોન્ફરન્સનું આયોજન આ ઉપરાંત છેલ્લા 1 વર્ષમાં આ રેન્જ હેઠળના જે કોઈ પોલીસ જવાનો શહીદ થયા છે. તેમના સ્મારકો બનાવી તેને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવનાર છે. જયારે ખાસ ત્રણેય જિલ્લાઓમાં ક્રાઈમ રેટ કાબુમાં હોય તેમજ ગુનાહિત પ્રવૃતિઓને અંજામ આપતી વિવિધ ગેંગોને પણ ઝડપી પાડવામાં આવી છે અને ફરી કોઈ ગેંગ સક્રિય ન થાય તે બાબતે પણ ધ્યાન રાખવા સૂચનાઓ આપવામાં આવી હતી.
દિવાળીના તહેવારોમાં લોકો ફરવા જવાના કાર્યક્રમોનું આયોજન કરતા હોય ત્યારે પોતાના ઘરો બંધ કરે તે પહેલા પોલીસ અને પાડોશીઓને ખાસ જાણ કરે જેથી ખાસ નજર રાખી શકાય.