ગુજરાત

gujarat

By

Published : Oct 11, 2020, 10:37 AM IST

ETV Bharat / state

ભાવનગરના કુંઢેલી પંથકમાં ભેદી રોગચાળાથી 50 થી વધુ ઘેટાંના મોત

તળાજાના કુંઢેલી પંથકના કેટલાક ગામોમાં ઘેટાં બકરામાં એકાએક ભેદી રોગચાળો ફેલાતા પશુપાલકોમાં ભારે દોડધામ મચી જવા પામી છે. આ રોગચાળામાં કેટલાંય માલધારીઓના પ્રાણીઓ મોતને ભેટયા છે. તો વળી કેટલાંંય પ્રાણીઓ બિમારીમાં સંપડાયેલા જોવા મળી રહ્યા છે. જેની અનેક રજુઆતો તળાજા ધારાસભ્ય, પશુ આરોગ્ય વિભાગને કરવા છતાં પણ યોગ્ય સારવાર તંત્ર દ્વારા નહીં કરવામાં આવતા પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે.

bhavnagar
ભાવનગર

  • કુંઢેલી પંથકમાં ભેદી રોગચાળાથી 50 થી વધુ ઘેટાંના મોત
  • ઘેટાંના એકાએક મોત થતાં પશુપાલકોમાં ભારે દોડધામ મચી
  • વહેલી તકે સારવાર ઉપલબ્ધ નહિ થાય તો ખેડૂતોની આત્મ વિલોપનની ચીમકી
  • મેડીકલ ટીમને સ્થળ પર મોકલી સેમ્પલ લેવામાં આવ્યા

ભાવનગર: જિલ્લાના તળાજા તાલુકાના કુંઢેલી, દેવળીયા, ઠળિયા, કુંઢડા, રાળગોન, કોદિયા, દુદાણા, બાબરિયાત, બેલા, પાદરી, મેથળા, મંગેળા, શેળાવદર અને ગાધેસર જેવા ગામોમાં છેલ્લાં એક અઠવાડિયાથી ભેદી રોગચાળાએ દેખા દેતા માલધારીઓના પાલતુ જીવો પરિવારજનોની નજર સામે ટપોટપ મરી જતા પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. પશુપાલકોનાં જણાવ્યા અનુસાર આ ભેદી રોગમાં પશુઓના નાકમાંથી લાલ રંગ જેવુ પ્રવાહી વહેવુ, ગળાના ભાગે સોજો આવવો તેમજ ઝાડા થવા જેવા લક્ષણોવાળા આ ભેદી રોગથી આ પંથકમાં ઘેટા બકરા બિમાર થઈને મોતને ભેટે છે. કુંઢેલી ગામમાં 14, ઠળિયા ગામના માલધારીના 15, કુંઢડા ગામના અનેક માલધારીઓના 17 તથા બેલા ગામે પણ 7 જેટલા ઘેટાના આ રોગથી 50થી વધુના મોત થયાનું જાણવા મળી રહ્યું છે. ગત વર્ષે પણ આ જ પ્રકારની ભેદી બીમારીમાં 500 જેટલા પશુઓ મોતને ભેટ્યા છે.

ભાવનગરના કુંઢેલી પંથકમાં ભેદી રોગચાળાથી 50 થી વધુ ઘેટાંના મોત

આ ભેદી બીમારી બાબતે ગામલોકો અને પશુપાલકો દ્વારા તળાજા ધારાસભ્ય , પશુ આરોગ્ય કેન્દ્ર અને સરપંચને જાણ કરવામાં આવતા ગામોમાંથી બિમાર પશુઓના લોહી, ઝાડાના નમુના ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે. તેમ છતાં પણ હજુ સુધી તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં ન આવતા ગામલોકો અને પશુપાલકોમાં રોષની લાગણી ફેલાઈ જવા પામી છે. ટપોટપ ભેદી રોગમાં મોતને ભેટતા પશુઓ બાબતે માલધારી અગ્રણી ભકાભાઈ બુધેલીયાએ માલધારી સમાજની આ સમસ્યા માટે વહેલી તકે નિદાન તથા સારવાર ઉપલબ્ધ નહિ કરવામાં આવે તો આંદોલન તેમજ આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

કુંઢેલી ગામ ખાતે થયેલ પશુઓના ભેદી મોત અંગે અધિકારી દ્વારા જણાવેલ કે, જે સમયે ગામલોકો દ્વારા ભેદી રોગ વિશે જણાવતા એક ડોક્ટર સાથે મેડીકલ ટીમને સ્થળ પર મોકલી સેમ્પલ લેવામાં આવેલ અને એ સેમ્પલને લેબમાં મોકલવામાં આવ્યું છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે, રોગ ક્યા પ્રકારનો છે. આ ઉપરાંત તળાજા તાલુકામાં 70 હજાર જેટલા ઘેટાં બકરાં પશુપાલકો પાસે છે અને અત્યાર સુધીમાં તપાસ કેમ્પ દરમ્યાન પણ કોઈ ભેદી રોગનાં કારણે મોત થયાનું ગામલોકો દ્વારા કે તપાસ દરમ્યાન સામે આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details