બનાસકાંઠા : સરહદી વિસ્તાર થરાદમાં પૈસાના લાલચું લોકોએ માત્ર 4500 રૂપિયાની લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ડીસા તાલુકાના ભડથ ગામે રહેતા સુરેશ દરબાર નામનો યુવક 13મી જુનના રોજ રહસ્યમય રીતે ગુમ થઈ ગયો હતો, જોકે બાદમાં થરાદ પાસે આવે નર્મદાની મુખ્ય કેનાલમાંથી તેની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા જ મૃતકના પિતાએ બે વ્યક્તિઓ પર શંકા હોઈ ફરિયાદ નોંધાવી હતી.
બનાસકાંઠાના થરાદમાં 4,500 રૂપિયાની ઉઘરાણીમાં યુવકની હત્યા
સરહદી વિસ્તારમાં માત્ર 4,500 રૂપિયાની લૂંટ મામલે એક યુવકની કરપીણ હત્યા કરાઇ છે. જે મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે
આ ઘટનાને પગલે થરાદ પોલીસે તેના પિતાની ફરિયાદના આધારે ડીસા તાલુકાના કંસરી ગામે રહેતા શૈલેષ ભુતાજી રાજપૂત અને રોહિતજી બુધાજી રાજપૂત નામના બંને ભાઈઓની અટકાયત કરી હતી. જો કે હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસ કરતા આ બંનેની જગ્યાએ અન્ય આરોપીઓની સંડોવણી હોવાનું પણ બહાર આવ્યું હતું. જેથી પોલીસે આ મામલે તપાસ કરી વાવના સપ્રેડા ગામના રહેવાસી અને મુખ્ય આરોપીઓ ભરત પટેલ અને વિપુલ પટેલની સંડોવણી હોવાનું પણ બહાર આવતા જ આ બંને શખ્સોની પોલીસે અટકાયત કરી ગુનો ડિટેકટ કર્યો છે.
જોકે હત્યા પાછળનું કારણ માત્ર 4500 રૂપિયાની લૂંટ કરવાના ઇરાદે યુવકની નિર્મમ હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. હત્યારાઓએ થરાદમાં આવેલા અર્બુદાનગર સોસાયટીમાં આ ચારેય શખ્સોએ તેની કરપીણ હત્યા કરી મૃતદેહને પીપમાં ભરી નર્મદાની કેનાલમાં ફેંકી દીધો હતો, ત્યારે હવે થરાદ પોલીસે આ બંને હત્યારાઓની અટકાયત કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.