- ડીસાના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકોને હાલાકી
- શાંતિનગર વિસ્તારના રહીસો દ્વારા અનેકવાર રજૂઆત
- જિલ્લાના જીવાદોરી સમાન દાંતીવાડા ડેમ સહિત ત્રણ ડેમ ખાલીખમ
બનાસકાંઠાઃ જિલ્લામાં બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. ડીસામાં પણ સોમવારે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો જેના કારણે ડીસા-પાલનપુર હાઈવે પર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. માર્કેટયાર્ડ પાસે પાણી ભરાતા અનેક વાહનચાલકો ફસાતા ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે, ડાયવર્ઝન આપી વાહનચાલકોને અન્ય માર્ગેથી જવા માટે સૂચના અપાઈ હતી.
જિલ્લામાં બે દિવસથી સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે અને દરેક તાલુકામાં એકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેથી ખેડૂતો પણ ખુશખુશાલ બન્યા છે. દિયોદરમાં પણ ગઈ કાલે બે કલાકમાં અઢી ઈંચ જેટલો વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. જો કે, સાર્વત્રિક વરસાદના પગલે ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાયો છે અને હજુ પણ વધુ વરસાદ થાય તેવી આશા રાખી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા સહિત ત્રણેય ડેમ હજુ પણ ખાલીખમ છે ત્યારે વધુ વરસાદ થાય અને ત્રણેય ડેમ પાણીથી છલકાઈ જાય તેવી લોકો આશા રાખી રહ્યા છે.