અમદાવાદ: ખોટા પ્રમાણપત્રોના આધારે અનેક લોકોએ રાજ્યમાં જુદા જુદા વિભાગમાં સરકારી નોકરી મેળવી હોવાનો ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. કોંગેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, પશુધન વર્ગ-3, મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષામાં ખોટા પ્રમાણપત્રથી જ લોકોએ નોકરી મેળવી છે.
સરકાર ખોટા પ્રમાણપત્રથી ચાલતી ભરતી કૌભાંડમાં તપાસ કરતી નથી: કોંગ્રેસ
સરકારી નોકરી મેળવવા કેટલાક લોકોએ ખોટા દસ્તાવેજ જેવા કે, ડિગ્રી અને સર્ટિફિકેટનો ઉપયોગ કર્યો હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે. ઉપરાંત સરકાર પણ આ વાતથી માહિતગાર હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. ત્યારે તેમાં તાત્કાલિક પગલાં લેવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી કોંગ્રેસે માગ કરી હતી.
અમાન્ય ડિગ્રીઓના આધારે લોકોએ નોકરી મેળવી છે. જેની સરકારને પણ જાણ છે. છતાં સરકાર કોઈ પગલાં લેતી નથી. અને સરકારમાં બેઠેલા લોકો જ કૌભાંડ થવા દે છે. ખોટા પ્રમાણપત્રોથી હજારોની સંખ્યામાં લોકોએ નોકરી મેળવી છે. આ રાજ્યવ્યાપી કૌભાંડમાં કમલમથી દોરી સંચાર થઈ રહ્યું છે.
આ સમગ્ર ગેરરીતી અને કૌભાંડ મામલે સરકાર જાણ હોવા છતાં જે કાર્યવાહી કરી નથી. તે તાત્કાલિક કરવામાં આવે અને લોકોને છાવરવાની જગ્યાએ કાયદેસરની કાર્યવાહી કરે તેવી માગ કરી છે. આમ નહીં થાય તો રાજ્યના અનેક યુવાઓનું ભાવિ જે સારી લાયકાત ધરાવતા હોવા છતાં નોકરીથી વંચિત રહેશે.