- રાજ્યના શિક્ષણ વિભાગે માસ પ્રમોશન અંગે કરી સ્પષ્ટતા
- રાજ્ય સરકારે વાલી મંડળની માસ પ્રમોશન આપવાની માંગને ફગાવી
- શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા અપીલ કરી
અમદાવાદ : કોરોનાકાળ દરમિયાન શાળાઓ બંધ છે, અને વિદ્યાર્થીઓ ઘરે બેસી ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે વાલી મંડળે ધો. 1-9 સુધી માસ પ્રમોશન આપવા માટેની માંગ કરી હતી. પણ શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી છે કે, ધો 1થી 8 સુધી માસ પ્રમોશન આપવા અંગે કોઈ વિચારણા કરવામાં આવી નથી. આમ રાજ્ય સરકારે વાલી મંડળની માંગને ફગાવી દીધી હતી. આ ઉપરાંત શિક્ષણ વિભાગે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવા માટે પણ અપીલ કરી હતી.
વિદ્યાર્થીઓને કેટલીક શરતો સાથે શાળાએ જવાની છૂટ આપવામાં આવે તેવી શકયતા
રાજ્યના શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા અગાઉ શાળા સંચાલકો અને પ્રાથમિક શિક્ષણાઅધિકારીઓ વચ્ચે યોજાયેલા વેબીનારમાં શાળાઓ શરૂ કરવા અંગે જુદા-જુદા પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. તેના આધારે શિક્ષણ વિભાગ દ્વારા હાલ ગાઇડલાઇન તૈયાર કરવામાં આવી રહી છે. વેબિનારમાં શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રાથમિક શાળાઓ એટલે ધો. 1થી 8 સુધીના વર્ગો દિવાળી બાદ પણ નહીં ખૂલે તેવા સંકેતો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દિવાળી પછી ધો. 9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળા શરૂ થઇ શકે છે. દિવાળીનું વેકેશન નવેમ્બરમાં પુરૂ થયા બાદ ધો.10 અને 12નાં વિદ્યાર્થીઓને કેટલીક શરતો સાથે શાળાએ જવાની છૂટ આપવામાં આવે તેવી શકયતા છે. બાળકોમાં સંક્રમણ ના થાય તે માટે સરકારે એવી શરત મૂકી શકે છે કે, વાલીઓ જાતે બાળકોને શાળાએ મુકવા આવવું પડશે.
માસ પ્રમોશન આપવા અંગે સમાચારો વહેતા થયા તે પાયાવિહોણા : શિક્ષણ વિભાગ
છેલ્લાં બે દિવસથી સમૂહ માધ્યમોમાં ચાલુ શૈક્ષણિક વર્ષમાં ધો. 1થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવશે, તેવા બિનપાયાદાર સમાચારો વહેતા થયા છે તે તદ્દન ખોટા છે, એમ શિક્ષણ વિભાગ દ્વારા જણાવાયુ છે. આ અંગે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે, ધો.1થી 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબત અંગેની કોઈ બાબત હાલ રાજ્ય સરકારની વિચારણા હેઠળ નથી. તેથી આવા પાયાવિહોણા સમાચારોથી જાહેર જનતાને ગેરમાર્ગે ન દોરાવા વિનંતી કરવામાં આવી છે.