ગુજરાત

gujarat

By

Published : Jun 1, 2020, 7:17 AM IST

ETV Bharat / state

અમદાવાદ સિવિલની વધુ એક બેદરકારી: દર્દીના મૃત્યુના 15 દિવસ બાદ દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કર્યાનો મેસેજ પરિવારને આપ્યો

અમદાવાદ સિવિલ હોસ્પિટલ જાણે કે બેદરકારીનું ઘર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. રોજ નવી બેદરકારી સામે આવી રહી છે. જેના લીધે લોકોની મુશ્કેલી વધી ગઈ છે. સૌથી મોટી અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત દર્દીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની ઘટના હજી શમી નથી, ત્યારે મૃત દર્દીને કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હોવાનો મેસેજ હોસ્પિટલ તરફથી મૃતકના પુત્રના ફોન પર આવ્યો હતો. મૃતકના પુત્રએ વીડિયો મારફતે પોતાની વ્યથા અને સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. પ્રભાકરની બેદરકારી અંગે સવાલ પૂછ્યા છે.

Ahmedabad
અમદાવાદ

અમદાવાદ: કિશોરભાઈ શાહનું અવસાન 16 મેના રોજ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં GCRI હોસ્પિટલમાં થયું હતું. પરંતુ સિવિલ હોસ્પિટલની બેદરકારીથી 30 મેના રોજ મેસેજ આવ્યો કે, કિશોરભાઈ હીરાલાલ શાહને GCRI માંથી કોવિડ હોસ્પિટલમાં ટ્રાન્સફર કરી રહ્યાં છે. જે માણસ મરી ગયા છે, જેમને અગ્નિદાહ આપી દીધો છે, તો સિવિલ હોસ્પિટલ દ્વારા કોને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યાં છે?

સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી
મૃતક કિશોરભાઈ શાહના પુત્ર સાગરે ETV Bharat સાથે વાતચીતમાં જણાવ્યું કે, 13 મેના રોજ શ્વાસ લેવામાં તકલીફ અને બીપી લો થઈ જતા તેના પિતાને સિવિલ હોસ્પિટલ લઇ ગયો હતો. જ્યાં તેમને પહેલા કોવિડ હોસ્પિટલ મોકલ્યા ત્યાંથી GCRI હોસ્પિટલમાં મોકલ્યા. જ્યાં તેના પિતાને દાખલ કર્યા. બીજા દિવસે 10 વાગ્યે વાત થઈ પછી પિતાનો ફોન લઇ લીધો હતો. 16મેના રોજ અવસાન થઈ ગયું તેની જાણકારી પણ હોસ્પિટલ દ્વારા નહીં પણ બીજા પરિવારજન તરફથી મળતા અમે પુરા પરિવાર સાથે હોસ્પિટલ દોડી ગયા હતા. ત્યારે ખબર પડી કે, પિતાનું અવસાન સવારે 10 વાગ્યે થયું છે. પરંતુ અમને પિતાની ડેડ બોડી નહીં આપતા જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા સાથે વાતચીત કરી હતી, ત્યારબાદ છ વાગ્યાની આસપાસ પિતાની ડેડબોડી મળી હતી. ત્યારે પિતાના દાગીના કાઢી લીધા હતા જેની અમે FIR પણ નોંધાવી હતી અને આજસુધી તે પણ મળ્યા નથી. ત્યારે હવે 30 મેના રોજ એવો મેસેજ આવે છે કે, મારા પિતાને જનરલ વોર્ડમાં શિફ્ટ કરાયા છે. તો જ્યારે તેમનું મૃત્યુ થઈ ગયું છે. ત્યારે કોને ટ્રાન્સફર કરવામાં આવ્યા છે.
દર્દીને બીજા વોર્ડમાં ટ્રાન્સફર કર્યાનો મેસેજ

જ્યારે ડૉ.શશાંક પંડ્યા સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમણે જણાવ્યું કે, આ બીજો ડિપાર્ટમેન્ટ છે. જ્યાંથી આ મેસેજ આવ્યો છે તો એવું પણ બની શકે કે, આ બંને ડિપાર્ટમેન્ટમાં કોઈ સંકલન જ નથી. જેના લીધે લોકો તકલીફમાં મુકાઇ રહ્યાં છે. બીજી મહત્વની વસ્તુ એ છે કે, કોરોના રિપોર્ટ કર્યો છે કે, નહીં. મોતનું કારણ પણ અમને કહ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details