ગુજરાત

gujarat

ETV Bharat / city

વતન જવા માટે તંત્ર અને સરકાર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા નથીઃ કલેક્ટર

લસકાણા વિસ્તારમાં ઓરિસ્સા સમાજના કારીગરો દ્વારા કરવામાં આવેલા હિંસક વિરોધ બાદ રવિવારે કલેક્ટર કચેરી ખાતે ઓરિસ્સા સમાજના આગેવાનો અને મેસ સંચાલકો સાથે સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશ્નરે અગત્યની બેઠક યોજી હતી. જેમાં તંત્રએ તમામને આશ્વાસન હતું કે, ઓરિસ્સાના કારીગરો માટે ચલાવવામાં આવતા મેસમાં તંત્ર દ્વારા આવશ્યક ચીજવસ્તુઓ મોકલવામાં આવશે. આ સાથે જ પલાયનની વાતો કરનારા પરપ્રાંતીય શ્રમિકોને સુરત જિલ્લા કલેક્ટરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, વતન જવા માટે તંત્ર અને રાજ્ય સરકાર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથી.

By

Published : Apr 12, 2020, 4:44 PM IST

ETV BHARAT
વતન જવા માટે તંત્ર અને સરકાર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથીઃ કલેક્ટર

સુરત: શહેરના લસકાણાની ઘટના બાદ સુરત જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રવિવારે અગત્યની બેઠક યોજવામાં આવી હતી. જે ઓરિસ્સા સમાજ અને તંત્ર વચ્ચે યોજવામાં આવી હતી.

બે દિવસ પહેલા લસકાણાના ડાયમંડ નગર ખાતે મોટી સંખ્યામાં ઓરિસ્સાના લોકોએ પથ્થરમારો કર્યો હતો અને ટાયરો સળગાવી પોતાના વતન જવા માટેની માંગણી કરી હતી. હજારોની સંખ્યામાં રોડ પર ઉતરી આવેલા ઓરિસ્સા સમાજના કારીગરો અને તેમના હિંસક દેખાવને લઇ તંત્ર અને રાજ્ય સરકાર એલર્ટ થઈ હતી. ત્યારબાદ રવિવારે કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ધવલ પટેલ, મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધિ પાની અને સાંસદ સી.આર.પાટીલ સહિત આગેવાનો હાજર રહ્યા હતા. જેમાં મ્યુનિસિપલ કમિશ્નરે ઉડીયા ભાષામાં લોકોને સમજાવવા પ્રયાસ કર્યો હતો.

વતન જવા માટે તંત્ર અને સરકાર દ્વારા કોઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી નથીઃ કલેક્ટર

આરોપ હતો કે, લોકડાઉનમાં મેસ બંધ થવાના કારણે કારીગરો ઉત્તેજિત થઇ ગયા હતા, પરંતુ સુરત જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે, તમામ મેસ ચાલુ હતી અને કારીગરોના વેતનને લઈ કોઈ સમસ્યા નથી. જો કે, કેટલાક કારખાના માલિકો દ્વારા હજૂ કારીગરોને વેતન આપવામાં આવ્યું નથી, તેમ છતાં તેમને સમજાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે. જેથી કલેકટર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા શ્રમિકોને તેમના વતન જવા માટે કોઈ પરિવહન વ્યવસ્થા કરવામાં આવી નથી. આ ઉપરાંત વ્યવસ્થા કરવામાં આવશે પણ નહીં. જેથી લોકો જ્યાં છે ત્યાં જ રહે.

ઓરિસ્સા સમાજના આગેવાનોએ જણાવ્યું હતું કે, સુરતના લસકાણા વિસ્તારમાં 33 જેટલા મેસ ચાલે છે અને આખા સુરતમાં 50થી વધુ મેસ છે. માત્ર લસકાણા વિસ્તારમાં 10 હજાર જેટલા ઓરિસ્સાના કારીગરો ભોજન લેવાનું પસંદ કરે છે. વધુમાં તેમણે જણાવ્યું કે, તંત્રેએ આશ્વાસન આપ્યું છે કે, મેસમાં પૂરતી જીવન જરૂરિયાત વસ્તુ મોકલવામાં આવશે. આ ઉપરાંત NGO અને અક્ષય પાત્ર દ્વારા સમસ્યાનું સમાધાન કરવામાં આવશે. જેથી કારીગરોને કોઈ હાલાકી ભોગવવી નહીં પડે.

ABOUT THE AUTHOR

...view details