- સુરત શહેરમાં દેશના અનેક રાજ્યોમાંથી લોકો રોજીરોટી માટે આવતા હોય છે
- ખૂણેખૂણેથી આવેલા પરપ્રાંતીયો સુરતને આર્થિક પાટનગર પણ બનાવી ચૂક્યાં છે
- પીએમ મોદીએ કહ્યું હતું કે પરપ્રાંતીયો ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે
સુરત : સુરતમાં પરપ્રાંતીયોની ( Migrants in Surat ) શું ઇમેજ છે તે પોતે વડાપ્રધાન મોદીએ ( PM Modi ) જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતાં ત્યારે તેઓએ પોતાના નિવેદન થકી જણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે અહીં વસતા પરપ્રાંતીયો ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર છે.
ગુજરાતમાં પરપ્રાંતીય રાજકારણ ગરમાયુ છે
કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રઘુ શર્મા દ્વારા પરપ્રાંતીયોને લઇ આપવામાં આવેલા નિવેદન બાદ ગુજરાતમાં પરપ્રાંતીય રાજકારણ ગરમાયુ છે. ખાસ કરીને સૂરતની વાત કરવામાં આવે તો અહીં સૌથી વધુ પરપ્રાંતીય લોકો ( Migrants in Surat ) વસે છે. સુરત ટેક્સટાઈલ અને હીરા ઉદ્યોગ માટે પ્રખ્યાત છે . ટેક્સટાઇલ ઉદ્યોગમાં મોટા ભાગે પરપ્રાંતીય શ્રમિકો કાર્યરત છે. લાખોની સંખ્યામાં સુરતમાં દેશના અન્ય રાજ્યોમાંથી આવેલા પરપ્રાંતીયો પરિવાર સહિત વસે છે. પોતાની જન્મભૂમિ છોડીને સુરતને કર્મભૂમિ બનાવનાર પરપ્રાંતીયોને સુરત રોજગારી આપે છે. આજ કારણ છે કે પોતાનું વતન છોડી વર્ષોથી પરપ્રાંતીયો સુરતમાં રહે છે અને સુરતને આર્થિક પટલ પર મજબૂત કરવાનો એક મહત્વપૂર્ણ રોલ પરપ્રાંતીય લોકો પણ છે. સાથોસાથ સુરતમાં રાજકીય દ્રષ્ટિકોણથી પણ તેઓ મહત્વના મતદાતાઓ કહી શકાય છે. સુરત મહાનગરપાલિકાના અનેક વોર્ડમાં તેઓને નિર્ણાયક મતદાતાઓ પણ છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉન વખતે દેશમાં સૌથી વધુ ટ્રેનો સુરતથી અન્ય રાજ્યોમાં રવાના થઈ હતી.
સુરતની વસતીમાં પરપ્રાંતીયોની સંખ્યા
સુરતની કુલ વસ્તી 70 લાખ, જ્યારે પરપ્રાંતીઓની ( Migrants in Surat ) વસતી આશરે 28,00,000 થી પણ વધુ છે. ઉત્તર પ્રદેશના 15,00,000 લોકો રહે છે જેમાંથી 7 લાખ મતદાતા છે. મધ્યપ્રદેશના 1લાખ લોકો છે જેમાંથી 55000 મતદાતા છે. રાજસ્થાનના 5 લાખ લોકો છે જેમાંથી 3 લાખ મતદાતા છે. ઓડિશાના 5 લાખ લોકો રહે છે જેમાંથી 2 લાખ લોકો મતદાતા છે. મહારાષ્ટ્રના 8 લાખ લોકો રહે છે જેમાંથી 4 લાખ જેટલા લોકો મતદાતા છે. પશ્ચિમ બંગાળના 50,000 લોકો રહે છે જેમાંથી 15000 મતદાતા છે. ઝારખંડના 2 લાખ લોકો રહે છે જેમાંથી 75000 લોકો મતદાતા છે. ઉત્તરાખંડના 50,000 લોકો રહે છે જેમાં 25000 મતદાતા છે. છત્તીસગઢના આશરે 30000 લોકો રહે છે જેમાંથી 5000 જેટલા મતદાતા છે.
સુરતમાં કુલ 27 જેટલા પરપ્રાંતીય ઉમેદવાર
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ દ્વારા જેટલા પણ પરપ્રાંતીયોને ટિકિટ આપવામાં આવી હતી તે તમામ વિજયી થયાં હતાં. સુરત મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો 120માંથી 27 જેટલા પરપ્રાંતીય કોર્પોરેટર છે. સુરતના ડિંડોલી ઉધના, સચિન, પાંડેસરા, બમરોલી, ભટાર,સિટી લાઈટ, વેસુ વીઆઈપી રોડ, હજીરા રોડ, અઠવાલાઇન આ તમામ વિસ્તારોમાં પરપ્રાંતીયોની સંખ્યા વધારે છે અને અહીંથી દરેક પાર્ટીઓ પરપ્રાંતીય ઉમેદવારોને તક આપતી હોય છે.