રાજકોટઃ કોરોના વાઈરસના સંક્રમણમાં રોગ પ્રતિકાર શક્તિ મહત્વનું પાસું છે. ત્યારે જિલ્લામાં જિલ્લા આયુર્વેદ શાખા દ્વારા લોકોની રોગ પ્રતિકારક શક્તિ વધે તે માટે ગરમ ઉકાળાથી માંડીને સંક્રમિત દર્દીની સારવારમાં ઇમ્યુનિટી બુસ્ટર આપવા હેતુસર સતત કામગીરી કરવામાં આવી રહી છે.
જિલ્લા પંચાયતના જિલ્લા આયુર્વેદ અધિકારી ડો કે.જી.મોઢે જણાવ્યું હતું કે, જિલ્લામાં 18 આયુર્વેદ દવાખાના કાર્યરત છે, જેમાં ઉકાળા તથા સંશમનીવટીનું વિતરણ કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં ચાલતા ધનવંતરી રથમાં સ્થળ પર જ ગરમ ઉકાળાનું વિતરણ કરવામાં આવે છે. હોમીયોપેથી ગોળી આર્સૈનિક આલ્બમ 30નું પણ વિતરણ કરવામાં આવે છે. સમરસ હોસ્ટેલ રાજકોટ ખાતે દર્દીની સંમતિથી એલોપથી સારવાર ઉપરાંત આયુર્વેદ અને હોમિયોપેથીક દવાઓ પણ આપવામાં આવે છે. સમરસ હોસ્ટેલ ખાતે બે આયુર્વેદ તબીબ અને એક હોમીયોપેથીક તબીબની સેવા પણ ઉપલબ્ધ છે.