ગુજરાત

gujarat

By

Published : Sep 26, 2020, 5:55 AM IST

ETV Bharat / city

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એપીએમસી બિલ પસાર

કેન્દ્ર સરકાર દ્વારા કૃષિ બિલ સંસદમાંથી પસાર કરવામાં આવ્યુ છે. ત્યારે તેને સંલગ્ન એપીએમસી બિલ ગુજરાત વિધાનસભા દ્વારા ચોમાસું સત્રના છેલ્લા દિવસે પસાર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના વિરોધ વચ્ચે બહુમતીના જોરે પાંચ મિનિટમાં જ ત્રણ બિલો પાસ કરી દેવામાં આવ્યા હતા. જેમાં કોંગ્રેસના માનવા પ્રમાણે એપીએમસી બિલ અને ગણોત વિધેયક ખેડૂતોની વિરુદ્ધમાં અને ઉદ્યોગપતિઓના ફાયદામાં છે, તેથી તેમણે સૂત્રોચ્ચાર કરીને આ વિધેયકની વિરુદ્ધમાં ગૃહમાંથી વોક આઉટ કર્યું હતું.

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એપીએમસી બિલ પસાર
વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એપીએમસી બિલ પસાર

ગાંધીનગરઃ આ બિલ અંગે સરકારે વતી વાત કરતા ઉર્જા પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, આ બીલના પરિણામે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી થશે. એક દેશ એક બજારના નિર્ણયથી સમગ્ર દેશમાં ગમે તે વેપારી કે ખેડૂતનું દેશના કોઇપણ એપીએમસી માર્કેટમાંથી ખરીદ કે વેચાણ કરી શકશે. કોંગ્રેસ દ્વારા એપીએમસી બંધ થશે તે વાત તદ્દન પાયાવિહોણી છે. એપીએમસી ચાલુ જ રહેશે. બદલતા સમયમાં જે ખેડૂતોને ટેકનોલોજીનો ઉપયોગ કરવો હશે, તે કરીને તેઓ માલ સીધો દેશના અન્ય રાજ્યોમાં વેચી શકશે. જેના પરિણામે ખેડૂતોનું ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ઘટશે અને વધુ ભાવ મળશે. ખેડૂતોને હાલ જે સુવિધા મળે છે તે ચાલુ જ રહેશે. આ પ્લેટફોર્મ દ્વારા દેશભરમાં રાજ્યના ખેડૂતો પોતાનો માલ વેચી શકશે.

પટેલે જણાવ્યું કે, આગામી 10 વર્ષમાં આ કાયદો મહત્વનો પુરવાર થશે ટેકનોલોજીના મહત્તમ ઉપયોગથી ઉત્પાદન વધશે, મોટી કંપનીઓ સિધવ ખેડૂતો પાસેથી કોન્ટ્રાક્ટ કરીને કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરી શકશે અને ગુણવત્તાસભર પાક ઉત્પાદન પણ મળશે. જો આજે ટેકનોલોજી નહીં લાવવામાં આવે તો ગ્લોબલાઇઝેશનમાં આપણે ટકી શકયું નહીં. દેશમાં પ્રોસેસિંગ ઉદ્યોગ માટે 10,000 કમિટી રચવાનો નિર્ણય કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલ છે. આ કમિટીઓ પાક ઉત્પાદન ભેગું કરીને વેચાણ કરશે એટલે ખર્ચા ઘટશે અને ખેડૂતોની આવક વધશે.

વિધાનસભા સત્રના છેલ્લા દિવસે એપીએમસી બિલ પસાર

વળી આ કાયદો અમલમાં હોવાથી ટેકાના ભાવે ખરીદી બંધ થશે નહીં, ઉપરથી કેન્દ્ર સરકારે ટેકાના ભાવમાં વધારો કર્યો છે. ખેડૂતો જ્યારે એપીએમસી માર્કેટમાં આવે છે, ત્યારે દસ પંદર દલાલો મળીને મંડળી રચીને ખેડૂતોનો માલ સસ્તા ભાવે ખરીદી લે છે. ત્યારે બીજા એપીએમસીમાં ખેડૂતો માલ વેચી શકતા નથી. તેથી હવે ફરજિયાત હરાજીથી ખેડૂતોને મુક્તિ મળશે અને ભારતનો ખેડૂત દુનિયા સાથે હરીફાઇ કરશે.

સરકારના ઉપરના ફાયદાની વાતોને હવાઈ કિલ્લા ગણાવતા કોંગ્રેસે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં બિલ પરની ચર્ચા વખતે વોકઆઉટ કર્યું હતું. તેમણે જણાવ્યું કે, એપીએમસી બીલથી કોન્ટ્રાક્ટ ફાર્મિંગના નામે વિદેશીઓની દખલગીરી સ્થાનિક બજારમાં વધશે. વધુ નાણાંની લાલચે આવશ્યક ચીજવસ્તુઓ મોંઘી બનશે અને વિદેશીઓ સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ નવી ઈસ્ટ ઈન્ડિયા કંપનીઓ પેદા કરશે. સરકાર પહેલેથી જ ખેતીની 43 ઉપજ ઉપર પાંચ ટકા જીએસટી લાદી રહી છે. તેમણે ખેડૂતોના પરસેવાની કમાણી વિદેશી કંપનીઓને લૂંટવાનો પરવાનો આપી દીધો છે.

પરેશ ધાનાણીએ સરકારનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, આ સરકારે ગુજરાતની જમીનો ઉદ્યોગપતિઓને એક રૂપિયાના ટોકન ભાવે આપી હતી. આ સાથે ગૌચરની જમીનો પણ ઉદ્યોગપતિઓને આપી દીધી છે, આ સરકાર મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓની છે. તેમ છતાં ગુજરાત ઉદ્યોગ ક્ષેત્રે પહેલા ક્રમેથી ધકેલાઈને છઠ્ઠા ક્રમે પહોંચ્યું છે. જમીન, પાણી અને ખાતર સરકારે ખેડૂતો પાસેથી લઈ લીધા છે. ત્યારે આ કાયદાની વિરુધ્ધમાં તેઓ આવતા દિવસોમાં ગામની ગલીઓ સુધી આ લડતને લઈ જશે.

કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું કે, એપીએમસી બીલથી ફક્ત મલ્ટીનેશનલ કંપનીઓને ફાયદો થશે. તેનાથી સરકારની આવક વધશે, ખેડૂતોને કોઈ ફાયદો નહીં થાય. આ વિધેયકમાં સભ્યો વધારવાની વાત કરવામાં આવી છે, જ્યારે શિક્ષણ બોર્ડના સભ્યો ઘટાડવામાં આવ્યા છે. સ્થાનિક મુદ્દાઓમાં કેન્દ્ર સરકારના સચિવને મૂકવાની જરૂર જ ક્યાં છે ? ભાજપ સ્થાનિક મોરચે સતત હારતી આવી છે, એટલે તે કાયદા દ્વારા બધે પોતાની સત્તા ઈચ્છી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details