ગુજરાત

gujarat

સિવિલમાં કોરોનાગ્રસ્ત મૃતક મહિલાના સોનાના દાગીના ચોરાયાં, પરિવારજનોએ લેખિત અરજી કરી

By

Published : Sep 22, 2020, 8:04 PM IST

ગાંધીનગર સિવિલ હૉસ્પિટલ કોરોના વાઇરસ દર્દીઓની હાલત કફોડી થઈ છે. એક તરફ સ્ટાફ ઓછો હોવાના કારણે સારવારમાં ભલીવાર આવતો નથી, તેવા સમયે હવે મૃતક દર્દીઓના દાગીના અને ડોક્યુમેન્ટની ચોરી થવાના બનાવો સામે આવ્યાં છે. સેક્ટર-3માં રહેતી એક મહિલાનું સોમવારે રાત્રે અવસાન થયું હતું. જેના શરીર પરથી દાગીના અને ડોક્યુમેન્ટ સહિતનો થેલો ગુમ થયો હતો. આ બાબતે તેમના સ્વજને સિવિલ સત્તાધીશોને ચોરી બાબતની લેખિત અરજી કરી હતી.

સિવિલમાં કોરોનાગ્રસ્ત મૃતક મહિલાના સોનાના દાગીના ચોરાયાં, પરિવારજનોએ લેખિત અરજી કરી
સિવિલમાં કોરોનાગ્રસ્ત મૃતક મહિલાના સોનાના દાગીના ચોરાયાં, પરિવારજનોએ લેખિત અરજી કરી

ગાંધીનગરઃ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ગાંધીનગર સિવિલ હોસ્પિટલમા આવેલી ઇન્ડોર બિલ્ડિંગમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર આપવામાં આવે છે. કોરોનાગ્રસ્ત દર્દીનું મૃત્યુ થાય તો તેની બોડીને પ્લાસ્ટિકમાં પેક કરીને આપવામાં આવતી હોય છે. જેને લઇને તેમના શરીર ઉપર રહેલા દાગીનાની અગાઉ અનેક વખત ચોરી થતી હોવાના બનાવો સામે આવ્યાં છે. ગાંધીનગર શહેરમાં આવેલી આશકા હોસ્પિટલમાં અગાઉ દર્દીના દાગીના ચોરાયા હોવાની પોલીસમાં અરજી પણ આપવામાં આવી હતી.

હવે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોરોનાગ્રસ્ત વોર્ડમાં મૃત્યુ થયા બાદ દર્દીના દાગીના ચોરાયાં હોવાનો બનાવ સામે આવ્યો છે. સેક્ટર-3માં રહેતી આશરે 65 વર્ષીય મહિલાએ સોમવારે રાત્રે આખરી શ્વાસ લીધાં હતાં. ત્યારબાદ સિવિલ તંત્ર દ્વારા તેમના પુત્રને ફોન કરીને અવસાનના સમાચાર આપવામાં આવતાં તેઓ ગાંધીનગર હોસ્પિટલ આવી પહોંચ્યાં હતાં, તે દરમિયાન માતાને અંતિમ વખત જોઈ હતી. ત્યારે મૃતક મહિલાના હાથમાં પહેરેલી સોનાની બંગડીઓ અને એક થેલામાં રહેલો સામાન તથા ડોક્યુમેન્ટ ગાયબ જોવા મળ્યાં હતાં.

આ બાબતે મોડી રાત્રે મૃતકના પુત્રએ સોનાના દાગીના અને ડોક્યુમેન્ટ્સ બાબતે પૂછપરછ કરી હતી. પરંતુ કોઈએ જવાબ ન આપ્યો હતો. જ્યારે મંગળવારે સવારે મૃતકને અંતિમ સંસ્કાર કરવા માટે લઈ જવાના હતાં. તે દરમિયાન આ બાબતે મૃતકના પુત્રે ગાંધીનગર સિવિલ સત્તાધીશોને તેમની માતાના સોનાના દાગીના ચોરાયા હોવાની લેખિત અરજી આપી હતી. ઉલ્લેખનીય છે કે, ગાંધીનગર સિવિલમાં કોરોનાગ્રસ્ત મહિલાની છેડતી બાદ હવે દાગીના પણ ચોરાવાના બનાવો સામે આવ્યાં છે ત્યારે સિવિલનું તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંથી ક્યારે જાગશે તે મોટો સવાલ થઇ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details