- રાજ્ય સરકારના એક્શન પ્લાન બાદ જવાબદારી પ્લાન
- રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોને વિવિધ જવાબદારીઓ સોપાઈ
- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અધિકારીઓને સોંપી જવાબદારી
ગાંધીનગર : મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આજે બુધવારે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સોમવારે રાજ્ય સરકારે કોરોનાની ત્રીજી લહેરને ધ્યાનમાં લઈને એક્શન પ્લાન રજૂ કર્યો હતો. ત્યારે આજે કોરોનાની ત્રીજી લહેરમાં કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટે રાજ્યના સચિવોને મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
3 મહિનામાં વ્યવસ્થાઓ કાર્યરત થાય તે બાબતની સૂચના
મુખ્યપ્રધાન રૂપાણીએ સચિવો સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક કોર કમિટીની બેઠક સાથોસાથ યોજીને આ બધી જ વ્યવસ્થાઓ આગામી ત્રણ મહિનામાં સંપૂર્ણપણે કાર્યરત થાય તે માટેની લંબાણપૂર્વક ચર્ચા-વિચારણા અને પરામર્શ કરીને સ્પષ્ટ સુચનાઓ આપી હતી. જે જે સચિવોને સંભવિત થર્ડ વેવના સામના માટેના આગોતરા આયોજનની જવાબદારી સોંપી છે તેમને આવતીકાલ ગુરૂવારથી જ તેમને સોંપાયેલી કામગીરી યુદ્ધના ધોરણે ત્વરાએ ઉપાડી લેવા સૂચનાઓ આપી હતી.