ઉલ્લેખનીય છે કે, 'મહા' વાવાઝોડાને કારણે પોલીસ કર્મચારીઓ તેમજ NDRFની ટીમને દરિયાકાંઠા વિસ્તારમાં તૈનાત રહેવા વિસ્તાર ફાળવી દેવામાં આવ્યા છે. TDO, મામલતદાર, તલાટીને કાંઠા વિસ્તારમાં લોકોને કેવા પગલાં લેવા તેની જાગૃતિ આપવાની સૂચનાઓ પણ આપી છે.
'મહા' સામે લોકોને સાવચેત કરવા નીકળેલા મામલતદાર મોબાઈલમાં મશગુલ..!
વલસાડ: જિલ્લાના 70 કિલોમીટર લાંબા દરિયા કિનારે 'મહા' વાવાઝોડું ત્રાટકવાની આગાહી બાદ વલસાડ તંત્ર એલર્ટ બન્યું છે. કલેકટરે તમામ સરકારી કર્મચારીઓને સજાગ રહેવા સૂચના આપી છે. ત્યારે ઉમરગામના મામલતદાર આ અંગે ગંભીર નથી તેવું એક સોશિયલ મીડિયામાં ફરતી થયેલી તસ્વીર જોઈને લાગે છે. વાત જાણે એમ છે કે, ઉમરગામના મામલતદાર વહીવટી તંત્રની સૂચના આધારે ઉમરગામ તાલુકાના દરિયા કાંઠે આવેલા નારગોલ ગામની મુલાકાતે ગયા હતા. ત્યા તેઓ મોબાઈલમાં મશગુલ હોય તેવો ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
ઉપરાંત લોકોને વાવાઝોડા સામે અગમચેતીની જાણકારી આપવાને લઈને ગામના સરપંચ અને સભ્યો સાથે ચર્ચા વિચારણા કરાઈ હતી. જે બાદ અતિ ઉત્સાહિત સરપંચે સમુહ તસ્વીર લઇ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. જેમાં સરપંચ, સભ્યો અને અન્ય ગામલોકો ફોટો પડાવી રહ્યા છે ત્યારે મામલતદાર મોબાઈલમાં મશગુલ છે.
જો કે આ ફોટો તંત્રની કામગીરી પર પ્રશ્નાર્થ પણ કરી શકે છે અને વહીવટી તંત્રની જાગૃતતા પણ બતાવી શકે છે. કારણ કે મામલતદાર એક તો મોબાઈલમાં વાવાઝોડાની અપડેટ ચેક કરતા હોય શકે છે અથવા વોટ્સએપ મેસેજ કે કોઈના મીસકોલ પણ જોતા હોય શકે છે. પરંતુ હાલ આ તસ્વીરે સોશિયલ મીડિયામાં રમૂજ જરૂર ફેલાવી છે. પરંતુ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા ફોટોની પુષ્ટિ Etv ભારત કરતું નથી.