ગુજરાત

gujarat

ભાવનગરમાં સફેદ ધજાવાળા મહાદેવના દુર્લભ દર્શન

By

Published : Aug 16, 2021, 7:06 AM IST

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મહાદેવનો મહિમા અપરંપાર છે, ત્યારે આજે Etv Bharat આપને એક એવા મહાદેવના મંદિર કે જે અતિ પૌરાણિક અને ભક્ત કવિ નરસિંહ મહેતાની તપોભૂમિ તરિકે જાણીતા ગોપનાથ મહાદેવના દર્શન કરાવશે. આ એક એવું શિવ મંદિર છે જ્યાં સફેદ ધજા ચડાવવામાં આવે છે.

Gujarat News
Gujarat News

  • મહાદેવનું એક એવું મંદિર કે જ્યાં ચડાવાય છે સફેદ ધજા
  • નરસિંહ મહેતાથી ભગવાન કૃષ્ણ સુધીનો છે પૌરાણિક છે ઇતિહાસ
  • સ્વયંભુ પ્રગટેલું છે શિવલીંગ

ભાવનગર: ગુજરાતના 1600 કિલોમીટરના દરિયા કાંઠે ભાવનગરથી 100 અને મહુવાથી 40 કિલોમીટર દૂર તળાજાના ફુલસર ગામ નજીક આવેલા ગોપનાથ મહાદેવની વાત કરીએ તો આ મંદિર કેટલું પૌરાણિક છે, તેનો ચોક્કસ ઇતિહાસ મળતો નથી. અહીંના વડીલો પાસેથી જાણવા મળ્યું કે, આ શિવલિંગનું પ્રાગટ્ય સ્વયં થયું છે અને અહીંનો ઇતિહાસ નરસિંહ મહેતા પછી એટલે કે ઇ.સ.1482 પછીનો મળી રહ્યો છે. અહીં ભગવાન કૃષ્ણ, પરશુરામ, સ્વામી વિવેકાનન્દ દર્શન કરી ચુક્યા છે.

ભાવનગરમાં સફેદ ધજાવાળા મહાદેવના દુર્લભ દર્શન

ભગવાન કૃષ્ણ, પરશુરામ અને સ્વામી વિવેકાનંદ સહિતનાઓ આવી ચુક્યા છે દર્શને

હાલ આ મંદિરમાં વિશાળ ઘુમ્મટમાં ભગવાન શિવ, નંદી અને બહારના ભાગે નરસિંહ ભગવાન અને ભકત કવિ નરસિંહ મહેતા બિરાજમાન છે. અહીં દરરોજ સવારે 5 વાગ્યે મંદિર ખુલે છે. બોપરે 12 વાગ્યાની આરતી થાળ ધર્યા પછી કરવામાં આવે છે અને સાંજની આરતી સવા સાતે એમ કુલ ત્રણ આરતી કરવામાં આવે છે. સવારથી મહાદેવને વૈદિક મંત્રોચ્ચાર સાથે જળાભિષેક, દુગ્ધઅભિષેક કરવામાં આવે છે. 10 વાગ્યે ભગવાનનો શૃંગાર કરવામાં આવે છે. 12 વાગ્યે ભગવાનને ભસ્મ ચડે છે અને સંધ્યા આરતી પછી દર્શન બંધ કરવામાં આવે છે.

માત્ર આ એક જ એવું શિવમંદિર કે જ્યાં ચડે છે સફેદ ધજા

દરેક શિવમંદિર પર ભગવા કલરની ધજા ફરકતી હોય છે પરંતુ આ એક જ શિવમંદિર છે કે જ્યાં સફેદ ધજા ફરકાવવામાં આવે છે. મળતી માહિતી મુજબ શિવમંદિરમાં ક્યાંય કૃષ્ણ મંદીર નથી હોતું અને કૃષ્ણ મંદિરમાં શિવ મંદિર જરૂર હોય છે અને ક્યાંય નરસિંહ ભગવાન એટલે કે કૃષ્ણ પણ છે અને હર એટલે શિવ અને હરી એટલે કૃષ્ણનો સમન્વય તથા સૂર્ય, સમુદ્ર અને શિવનો પણ સંગમ અહીં થાય છે. એટલે જ આ મંદિરના ઘુમ્મટ પર સફેદ ધજા ચડાવવામાં આવે છે. જે અન્ય કોઈ શિવાલયોમાં નથી થતી.

નરસિંહ મહેતાની તપોભૂમિ તરીકે પણ ઓળખાય છે

આ મંદિરની પૌરાણિકતાની જો વાત કરીએ તો મંદિરનો ઈતિહાસ ભક્તકવિ નરસિંહ મહેતા સાથે જોડાયેલો છે. નરસિંહ મહેતાની જન્મભૂમિ તળાજા, તપોભૂમિ ગોપનાથ અને કર્મ ભૂમિ જૂનાગઢ. નાગર બ્રાહ્મણ કુળમાં જન્મેલા નરસિંહ મહેતા જન્મથી જ શ્રધ્ધાળું હતા અને આ જગ્યા પર તેઓ ગાયો ચારવવા આવતા અને ઘરથી લાવેલા ભોજન લેવા બેઠા અને શિવલિંગના દર્શન થયા. શ્રધ્ધાળુ માણસ, જ્ઞાતિ બહાર કરેલા માણસ કંટાળી શિવલિંગ સામે ગયા અને હાથ પણ સળગાવવા લાગ્યો ત્યારે મહાદેવજી પ્રસન્ન થયા અને વચન માંગવાનું કહ્યું પણ મહેતાજીએ કઈ નથી જોઈતું એમ કહ્યું. છતાં ભગવાને ફરી ત્રણ વખત પૂછતાં મેહતાજીએ કહ્યું કે, તમને ગમતું આપો. ત્યારે ભગવાને કહ્યું કે મને તો કૃષ્ણની ગોપીઓ સાથેની લીલા પસંદ છે આપું ? મહેતાજીએ હા પાડતા આ જ મંદીર માં કૃષ્ણભગવનની રાસલીલા મેહતાજીને દર્શાવી હતી. જેથી આ મંદિરનું નામ ગોપનાથ પણ હોઈ શકે.

જાણો અહીંની વ્યવસ્થાઓ

હાલ અહીં વ્યવસ્થાની વાત કરવામાં આવે તો અહીં શ્રાવણ માસમાં ભક્તોનો ઘસારો વધારે રહે છે અને અહીં ભોજનાલય, એ.સી., નોન એ.સી. રૂમો રાત્રી રોકાણ માટે ઉપલબ્ધ છે. સાથે જ અહીં પર્યટકો દરિયા કિનારે પણ હરિફરી શકે છે. એવામાં કોષ્ટક એરિયાના વિકાસની વાતો કરતાં લોકોમાં આ સ્થાનનો પણ સમાવેશ કરવામાં આવે તો સોનામાં સુગંધ ભળે.

ABOUT THE AUTHOR

...view details