કર્ફ્યૂ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ ન જળવાય તો છૂટ આપવામાં નહીં આવેઃ અમદાવાદ CP
લૉક ડાઉનનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જે લોકો નિયમોનો ભંગ કરે છે તેમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે વિસ્તારમાં કર્ફ્યુ કરવામાં આવ્યો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો આપેલ છૂટ પછી ખેંચી લેવામાં આવશે.
અમદાવાદઃ લૉક ડાઉનના 23 દિવસ પૂર્ણ થવા આવ્યાં ત્યારે પોલીસ દ્વારા સતત લોકડાઉનનું કડકપણે પાલન કરવામાં આવી રહ્યું છે. જે લોકો નિયમોનો ભંગ કરે છે તેમની સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.ઉપરાંત જે વિસ્તારમાં કર્ફ્યુ કરવામાં આવ્યો છે ત્યાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નહીં થાય તો આપેલ છૂટ પછી ખેંચી લેવામાં આવશે. લોકડાઉનના 23 દિવસ દરમિયાન 4606 ગુના દાખલ કરી 10,865 લોકોની અટકાયત કરવામાં આવી છે. ડ્રોનથી પણ નજર રાખીને લોકો પર નજર રાખવામાં આવી રહી છે. 14 વિસ્તાર ક્લસ્ટર કોરેન્ટાઈન કરવામાં આવ્યાં છે. જ્યાં સ્થાનિક પોલીસ ઉપરાંત STPની ટુકડી તહેનાત કરવામાં આવી છે. સીનિયર સિટીઝનની પણ શી ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે.
શહેરના 7 પોલીસ સ્ટેશનની અંદર આવતા વિસ્તારમાં કરફ્યુ રાખવામાં આવ્યું છે જ્યાં 2 JCP,4DCP,8ACP,14PI અને 2158 પોલીસકર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.આ ઉપરાંત પેરામિલેટ્રી ફોર્સ પણ ઉતારવામાં આવી છે. કર્ફ્યુના વિસ્તારમાં બપોરે 3 કલાક મહિલાઓને જીવન જરૂરિયાતની વસ્તુઓ માટે છૂટ આપવામાં આવી છે. પરંતુ જો મહિલાઓ સોશિયલ ડિસ્ટન્સ નહીં રાખે તો આપેલ છૂટ પાછી લેવામાં આવશે.
કોરોના વાયરસનો ભોગ પોલીસકર્મીઓ પણ બન્યાં છે.શહેરના 4 પોલીસકર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને 40 જેટલા પોલીસકર્મી તથા તેમના પરિવારજનોને કોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે.