અમદાવાદઃ કોરોના મહામારી દરમિયાન આ બીમારી વધુ ન ફેલાય તેના માટે બકરી ઈદના તહેવાર પર પ્રાણીઓની કરવામાં આવતી કુરબાની પર પ્રતિબંધ મૂકવાની માગ સાથે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી જે મામલે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ જે.બી. પારડીવાલાએ પોલીસ કમિશ્નર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાંથી સંતોષ વ્યક્ત કરતા અરજીનો નિકાલ કર્યો હતો.
ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી જાહેરહિતની અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે કોરોના મહામારી દરમિયાન તહેવારોમાં જો સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન નહીં કરવામાં આવે તો કોરોના વધુ વકરી શકે છે. PILમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુરબાની જાહેર માર્ગ પર આવેલી ગટરો પાસે કરવામાં આવે છે અને અસ્વચ્છતાને લીધે કોરોના મહામારી વધુ વકરી શકે છે, જેથી તેના પર પ્રતિબંધ મુકવામાં આવે.