નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ પ્રધાન નીતિન ગડકરીએ કહ્યું છે કે, ભારતના હાઇવે પ્રોજેક્ટમાં ચીનની કંપનીઓને સામેલ નહીં કરે. જો કોઈ ભારતીય કે પછી અન્ય કંપની સાથે જોઈન્ટ વેન્ચર બનાવીને બોલી લગાવશે તો પણ તેમને સામેલ કરવામાં આવશે નહીં.
ગડકરીએ જણાવ્યું કે, કોઇ ચાઇનીઝ કંપની જોઇન્ટ વેન્ચર કરી હાઇવે પ્રોજેક્ટ્સમાં એન્ટ્રી કરવાનો પ્રયત્ન કરશે તો ત્યાં પણ તેને રોકી દેવામાં આવશે. તેમણે એમ પણ જણાવ્યું કે, MSME સેક્ટરમાં ચાઇનીઝ રોકાણકારોને મહત્વ નહીં મળે. ગડકરીના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર આ મુદ્દે ટૂંક જ સમયમાં પોલિસી બહાર પાડશે જેના આધારે ચાઇનીજ કંપનીઓનોના પ્રવેશ બંધ થશે અને ભારતીય કંપનીઓ માટે નિયમો સરળ બનાવવામાં આવશે. નવા નિયમો થકી હાઇવે પ્રોજેક્ટ્સમાં ભારતીય કંપનીઓને વધારે તક આપવામાં આવશે. આ માટે હાઇવે સેક્રેટરી અને NHAIની એક બેઠક પણ યોજાશે, જેમાં ટેન્ડર મુદ્દે ટેકનિકલ અને ફાઇનાન્સિયલ નોર્મ્સ સરળ કરવા બાબતે ચર્ચા કરવામાં આવશે.
તેમણે આ અંગે વિગતવાર સમજાવ્યું કે, 'જો કોઈ કોન્ટ્રાક્ટર કંપની નાના પ્રોજેક્ટ માટે પસંદ કરવાની ક્ષમતા ધરાવે છે, તો તે મોટા પ્રોજેક્ટ્સ માટે પણ પાત્ર થઈ શકે છે. બાંધકામ સંબંધિત નિયમો યોગ્ય નથી, તેથી મેં તેમને બદલવાની વાત કરી છે. જેથી અમે ભારતીય કંપનીઓને પ્રોત્સાહિત કરી શકીએ. તેમણે કહ્યું કે, આ નિયમોમાં ફેરફાર એવી રીતે કરવામાં આવશે કે સ્થાનિક કંપનીઓએ કોઈ વિદેશી ભાગીદાર ન કરવી પડે.