નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે બુધવારે ગુજરાતમાં એક વેપારીને આગોતરા જામીન મળ્યા હોવા છતાં પોલીસ રીમાન્ડમાં લેવાતા કડક નિંદા કરી છે. સુપ્રીમ કોર્ટે આ ઘટનાને 'સત્તાનો દુરઉપયોગ' અને 'ભયંકર અપમાન' સમાન ગણાવી છે.
ન્યાયાધીશ બી. આર. ગવઈ અને ન્યાયાધીશ સંદીપ મહેતાની સંયુક્ત બેન્ચે પોલીસ અધિકારીઓ અને સુરતના એક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આ મામલે નોટિસ ફટકારીને 29 જાન્યુઆરીએ હાજર રહેવા જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે દગાખોરીના મામલામાં સુરત નિવાસી તુષાર શાહને આગોતરા જામીન આપ્યા હતા. સુપ્રીમ કોર્ટમાં જણાવાયું હતું કે વેપારીને પોલીસ કસ્ટડીમાં મોકલી અપાયો અને ફરિયાદની હાજરીમાં કથિત રીતે 1.65 કરોડ રુપિયા વસૂલવા માટે ધમકી આપવામાં આવી હતી.
સુપ્રીમની સંયુક્ત બેન્ચ પોતાના આદેશનું ઉલ્લંઘન થતાં નારાજ થઈ હતી. બેન્ચે ગુજરાત રાજ્ય માટે વેધક સવાલ કર્યો કે, શું ગુજરાતમાં જુદા કાયદા પાળવામાં આવે છે? આ મામલામાં સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરીને તેનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે. તુષાર શાહના વકીલ ઈકબાલ એચ સૈયદ અને વકીલ મોહમ્મદ અસલમે કહ્યું કે, 13થી 16 ડિસેમ્બર 2023 સુધી સુરતના વેસુ પોલીસ સ્ટેશનના સીસીટીવી ફૂટેડને સુરક્ષિત કરવા માટે પોલીસ આયુક્તમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન તેમના અસીલ પોલીસની કસ્ટડીમાં હતા.
મેજિસ્ટ્રેટ અને તપાસ અધિકારીઓ હાજર થાય અને રીમાન્ડના ઓર્ડર કેવી રીતે આપ્યા તે જણાવે. સુપ્રીમ કોર્ટનું અપમાન કરનારાઓને સાબરમતિ જેલ અથવા બીજે ક્યાંક મોકલવાનો આદેશ ડીજીપીને કોર્ટ કરશે.
સુપ્રીમ કોર્ટની સંયુક્ત બેન્ચે સવાલ કર્યો કે,"જ્યારે 8 ડિસેમ્બર 2023ના રોજ સુપ્રીમ કોર્ટે અરજદારને આગોતરા જામીન આપી દીધા હતા તો પછી કઈ રીતે રીમાન્ડના ઓર્ડર આપી દેવાયા, તેમજ તુષાર શાહને પોલીસ કસ્ટડીમાં કઈ રીતે રખાયા ?"