- ઈઝરાયેલી કંપનીએ જાસૂસી માટે બનાવ્યું છે પેગાસસ સ્પાયવેર
- કંપની અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચે છે પેગાસસ સ્પાયવેર
- જાણો શું છે પેગાસસ સ્પાયવેર અને કઈ રીતે થાય છે તેનાથી જાસૂસી
ન્યૂઝ ડેસ્ક : ભારતીય સંસદના મોનસૂન સત્રની શરૂઆત સોમવારે ભારે હોબાળા સાથે થઈ હતી. સત્રની શરૂઆત થતા અગાઉ પેગાસસ સ્પાયવેર દ્વારા થઈ રહેલી જાસૂસીનો એવો મુદ્દો આવી ગયો કે, જેના કારણે ભારતની રાજનીતિમાં હાહાકાર મચી ગયો છે. આ મુદ્દે સંસદમાં ચર્ચા થાય તે માટે કોંગ્રેસ અડગ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે, અમને ખબર છે કે તેઓ આપના ફોનમાંથી બધું જ વાંચી રહ્યા છે. આ કહેવા પાછળ તેમનો તાત્પર્ય પેગાસસ દ્વારા જાસૂસી કરાવવાના આરોપો પર હતો.
કઈ રીતે શરૂ થયો વિવાદ ?
એક આંતરરાષ્ટ્રીય મીડિયા સંગઠને રવિવારના રોજ ખુલાસો કર્યો હતો કે, ઈઝરાયેલની એક કંપનીએ બનાવેલા જાસૂસી માટેનું સોફ્ટવેર પેગાસસ દ્વારા ભારતના 2 કેન્દ્રીય પ્રધાનો, 40થી વધારે પત્રકારો, વિપક્ષના 3 નેતાઓ અને એક ન્યાયાધીશ સહિત 300 લોકોની જાસૂસી કરવામાં આવી છે.
શું છે પેગાસસ સ્પાયવેર ?
પેગાસસ એક શક્તિશાળી સ્પાયવેર સોફ્ટવેર છે. જે મોબાઈલ તેમજ કમ્પ્યુટરમાંથી ગોપનીય અને વ્યક્તિગત માહિતી ચોરી શકે છે અને હેકર્સ સુધી પહોંચાડી શકે છે. આને સ્પાયવેર કહેવા પાછળનું કારણ એ છે કે, તેને કોઈપણ વ્યક્તિના ફોનમાં મોકલીને તેની જાસૂસી કરી શકાય છે. પેગાસસ બનાવનારી કંપની એનએસઓ (NSO) નું કહેવું છે કે, તેઓ આ સ્પાયવેર અધિકૃત રીતે માત્ર સરકારોને જ વેચવામાં આવે છે. પેગાસસ દ્વારા iOS તેમજ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલતા કોઈપણ ફોન હેક કરી શકાય છે. જ્યારબાદ તેમાંથી ફોનનો ડેટા, ઈ-મેઈલ, કોલ રેકોર્ડ્સ, ફોટોગ્રાફ્સ સહિત તમામ ગતિવિધિઓ હેકર્સ સુધી પહોંચાડવામાં આવે છે.