નૂહ : હરિયાણાના નૂહમાં બ્રજ મંડળ શોભાયાત્રા દરમિયાન બે સમુદાયો વચ્ચેની હિંસાની ઘટના બની હતી. જે બાદ જિલ્લામાં ગેરકાયદેસર અતિક્રમણ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હતી. અત્યાર સુધીમાં 35 સ્થળોએ ઝુંબેશ ચલાવીને 57 એકર જમીનને ગેરકાયદે અતિક્રમણમાંથી મુક્ત કરાવવામાં આવી છે.
કર્ફ્યુમાં થોડી રાહત : હરિયાણાના નૂહમાં બે સમુદાયો વચ્ચે હિંસક ઘટનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યા હતાં.. આ હિંસા પછી જિલ્લામાં ગેરકાયદે અતિક્રમણ અને હિંસા દરમિયાન જે ઘરોમાંથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો તેના પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યું હતું. જેનું સ્વતઃ સંજ્ઞાન લઇને પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તોડફોડ પર પ્રતિબંધ મૂક્યો છે. આ ઉપરાંત નૂહ જિલ્લામાં સ્થિતિ સામાન્ય થયા બાદ આજે કર્ફ્યુમાં પણ થોડી રાહત આપવામાં આવી છે. નૂહમાં હિંસાના આઠમા દિવસે બેંકો અને એટીએમ ખુલી શક્યાં છે.
ત્રણ માળની સહારા રેસ્ટોરન્ટ ડિમોલિશન : વહીવટીતંત્રની આ કાર્યવાહીથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે આ અંગે સુઓમોટો સંજ્ઞાન લેતાં નૂહ જિલ્લામાં તોડફોડ પર પ્રતિબંધ મૂક્યો છે. આપને જણાવીએ કે 6 ઓગસ્ટ, રવિવારના રોજ સવારે 8 વાગ્યે, નૂહ જિલ્લા મુખ્યાલય નૂહ શહેરમાં નલહદ વળાંકની સામે જ સહારા રેસ્ટોરન્ટ પર બુલડોઝર દોડ્યું હતું. ત્રણ માળની સહારા રેસ્ટોરન્ટ પળવારમાં જમીનદોસ્ત થઈ ગઈ હતી. ઉલ્લેખનીય છે કે આ જગ્યાએથી પથ્થરમારાની ઘટના બની હતી.
પથ્થરમારો કરાયો હતો : અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 31 જુલાઈએ બ્રજ મંડળ શોભા યાત્રા દરમિયાન હિંસામાં આ હોટલમાંથી પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો. હિંસા દરમિયાન હોટલની બાજુમાં આવેલા બાઇક ગોડાઉનમાં લૂંટફાટ કરવામાં આવી હતી અને તેમાં આગચંપી પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં અન્ય ઘણા મકાનો ધરાશાયી થયા હતા. આ ઉપરાંત સરકારી જમીન પર અતિક્રમણ કરીને બાંધવામાં આવેલી ઝૂંપડપટ્ટીઓ પણ જમીનદોસ્ત કરવામાં આવી છે.
ઇન્ટરનેટ સેવા 8 ઓગસ્ટ સુધી બંધ : નૂહમાં હિંસા બાદ સ્થિતિ સામાન્ય હોવા છતાં પણ સાવચેતીના ભાગરૂપે 8 ઓગસ્ટ સુધી જિલ્લામાં ઈન્ટરનેટ સેવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત જિલ્લામાં હજુ પણ કર્ફ્યુ લાગુ છે. જો કે લોકોને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે તે ધ્યાનમાં રાખીને આજે ચાર કલાક માટે કર્ફ્યુમાં રાહત આપવામાં આવી છે.
નૂહ હિંસાના 8મા દિવસે બેંકો અને એટીએમ ખુલ્યાં : નૂહ શહેરમાં જુલૂસ દરમિયાન હિંસાના 8મા દિવસે એટલે કે સોમવાર, 7 ઓગસ્ટના રોજ, નૂહ શહેરમાં બેંકો અને એટીએમ સવારે 10 થી બપોરે 3 વાગ્યા સુધી ખોલવાના આદેશ આપવામાં આવ્યા છે. બેંકમાં નાણાકીય વ્યવહારોનો સમય સવારે 11 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીનો છે, જ્યારે એટીએમ સવારે 10 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભલે બેંકો અને એટીએમ ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય પરંતુ સામાન્ય દિવસોમાં બેંકો અને એટીએમ પર જે ભીડ જોવા મળતી હતી તે જોવા મળતી નથી.
- Haryana Nuh Violence Side Story: નૂહ હિંસા માટે કોણ જવાબદાર છે?
- Nuh violence : 5 જિલ્લામાં કલમ 144 લાગુ, નૂહમાં 8 અર્ધલશ્કરી બટાલિયન તૈનાત
- Bharatpur Youth Burnt Alive Case: હરિયાણાના નૂહ વિસ્તારમાં ત્રણ દિવસ સુધી ઈન્ટરનેટ બંધ કરવાનો કરાયો આદેશ