ગત 8 જાન્યુઆરીએ ભાજપના કદાવર નેતા જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેને હત્યા કરાઈ હતી. જેમાં પોલીસે કુલ 9 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે મનિષા ગોસ્વામી, સુરજીત ભાઉ અને નિખીલ થોરાટ ફરાર હતા. ત્યારે CIDએ રચેલી SITને મોટી સફળતા મળી છે અને ત્રણેય ફરાર પૈકી બેની યુપીથી ધરપકડ કરી છે. મનિષા ગોસ્વામી અને સુરજીતભાઉને અલ્હાબાદ કોર્ટમાં રજૂ કરાશે બાદમાં એસઆઈટી બંનેને ગુજરાત લાવશે.કેસના મુખ્ય આરોપી છબીલ પટેલની કરેલી પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, મૃતક જયંતિ ભાનુશાળી અને છબીલ પટેલ વચ્ચે રાજકીય સ્પર્ધાના કારણે મનદુખ હતું બીજી બાજુ છબીલ પટેલના સાથી જયંતિ ઠક્કર ઉર્ફે જયંતિ ડુમરાએ કે.ડી.સી.સી. બેંકમાં કરેલા આર્થિક વ્યવહારો બાબતે ચાલતી તપાસ પરનો સ્ટે ભાનુશાળીએ ઉઠાવવાનો પ્રયાસ કરતા મામલો વધુ બિચક્યો હતો. અને જયંતિ ડુમરા તથા છબીલ પટેલે હત્યાનું કાવતરૂ ઘડ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.8 જાન્યુઆરીએ જયંતિ ભાનુશાળીની હત્યા કરી હતી.
ભાનુશાળીએ સમાધાન કર્યા બાદ છબીલ પટેલે સામે ફરિયાદ દાખલ કરાવી અને જયંતિ ઠક્કર ઉર્ફે ડુમરાના આર્થિક વ્યવહારોની તપાસ પરનો સ્ટે ઉઠે તે માટે પ્રયાસો કરતા ડુમરાએ છબીલ પટેલે સાથે મળીને હત્યાનું કાવતરું ઘડ્યું હતું.ત્યારબાદ તેમણે સુરજીત ભાઉ અને અન્યોને હત્યાની સોપારી આપી એડવાન્સ પેટે રૂપિયા 5 લાખ પણ ચૂકવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે, જયંતિ ડુમરા છબીલ પટેલનો ભાગીદાર હોવાનું કહેવાય છે. ભાનુશાળીની હત્યા માટે ભાડુતી હત્યારાઓને ચૂકવાયેલી રકમમાં રૂપિયા 5 લાખનો હિસ્સો જયંતિ ડુમરાએ આપ્યો હોવાનું તપાસમાં ખૂલ્યું છે.
હત્યા કેસનો ઘટનાક્રમ
મહત્વનું છે કે, કચ્છના પૂર્વ MLA જયંતી ભાનુશાળી હત્યાકાંડ કેસમાં આરોપી અને ભાજપના નેતા છબિલ પટેલનું નામ સામે આવ્યું હતું. જંયતી ભાનુશાળીની હત્યાના થોડાક દિવસ પહેલાં વિદેશ ગયેલા છબિલ પટેલ અમદાવાદ એરપોર્ટ પહોંચતા CID ક્રાઈમ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. CID ક્રાઈમે અગાઉ આ કેસમાં હત્યામાં સંડોવાયેલા બે શાર્પ શૂટર, છબિલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સહિત 5 લોકોની ધરપકડ કરી હતી. જો કે, મનિષા ગોસ્વામી નામની મહિલા કે જે આ કેસમાં મુખ્ય આરોપી છે. તે પોલીસની પહોંચથી બહાર હતી.