નવી દિલ્હીઃ કોંગ્રેસ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવેલા સંજય ઝાએ દાવો કર્યો છે. તેમણે ટ્વિટ કર્યું હતું કે, કોંગ્રેસના 100 જેટલા નેતાઓ (સાંસદ સહિત) પાર્ટીની આંતરિક બાબતોથી નારાજ છે અને પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તનની માગ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીએ થોડા સમય પહેલા ઘોષણા કરી હતી કે, સોનિયા ગાંધી પ્રમુખની ચૂંટણી સુધી પક્ષના વચગાળાના પ્રમુખ રહેશે.
સંજય ઝાએ એક ટ્વિટમાં દાવો કર્યો છે કે, આ નેતાઓએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને પત્ર લખીને પાર્ટીના નેતૃત્વમાં પરિવર્તનની માગ કરી છે. આ સાથે, નેતાઓએ કોંગ્રેસ કાર્યકારી સમિતિમાં (CWC) પારદર્શક ચૂંટણીઓની માગને પણ આગળ ધપાવી છે. કોંગ્રેસ પાર્ટીએ સંજય ઝાને પાર્ટીમાંથી હટાવ્યા છે. તાજેતરમાં જ કોંગ્રેસ પ્રવક્તાના પદ પરથી હટાવવામાં આવેલા સંજય ઝાએ રાજસ્થાનમાં તેમની પાર્ટીમાં રાજકીય સંકટ માટેના સમાધાનો સૂચવ્યાં હતાં. તેમણે કહ્યું હતું કે, સચિન પાયલોટને રાજસ્થાનમાં મુખ્યપ્રધાન બનાવવામાં આવે.
આ બાબતે, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે, ફેસબુક ભાજપ-લિંકથી ધ્યાન હટાવવા માટે આ માત્ર ભાજપનો દાવ છે. રવિવારે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'ભાજપ-આરએસએસ ભારતમાં ફેસબુક અને વોટ્સએપનું નિયંત્રણ કરે છે. આ દ્વારા તેઓ ખોટા સમાચારો અને નફરત ફેલાવીને મતદારોને આકર્ષિત કરે છે. છેવટે, અમેરિકન મીડિયાએ ફેસબુકનું સત્ય જાહેર કર્યું છે.'
રાજસ્થાનમાં મુખ્યપ્રધાન અશોક ગેહલોત અને સચિન પાયલટ વચ્ચે ચાલી રહેલા વિવાદમાં સંજય ઝાએ સચિન પાયલટનો પક્ષ લીધો હતો. તેમને મુખ્યપ્રધાન બનાવવાની વાત કરી હતી. તેઓ છેલ્લા કેટલાક સમયથી ટ્વિટર પર કોંગ્રેસ વિરુદ્ધ લખી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સિંધિયા અને પાયલટને જોતા સંજય ઝાએ સચિન પાયલટ ભાવિ પીએમ બની શકે છે એમ પણ કહ્યું હતું.
14 જુલાઈ, 2020ના રોજ કોંગ્રેસ પાર્ટીએ સંજય ઝાને સસ્પેન્ડ કરી દીધા હતા. તેમને એક મહિના પહેલા કૉંગ્રેસના પ્રવક્તના પદ પરથી હટાવવામાં આવ્યા હતા. પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ અને શિસ્ત તોડવાના મામલામાં પણ કોંગ્રેસે તેમને પક્ષના પ્રાથમિક સભ્યપદથી સસ્પેન્ડ કરી દીધા છે.