નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પ્રધાનો અને કેન્દ્રશાસિત પ્રદેશોના નાયબ રાજ્યપાલો સાથે કોરોના અંગેની ચર્ચા કરી હતી. બેઠકમાં પંજાબ, કેરળ, ગોવા, ઉત્તરાખંડ, ઝારખંડ અને પૂર્વોત્તર રાજ્યોના મુખ્ય પ્રધાનો તેમજ કેન્દ્ર શાસિત રાજ્યનાનાયબ રાજ્યપાલનો સમાવેશ થાય છે.
પીએમ મોદીએ કહ્યું કે, માસ્ક અથવા ફેસ કવર કર્યા વગર ઘરની બહાર જવું તે યોગ્ય નથી. હાથ ધોવા અને સેનિટાઇઝરનો ઉપયોગ ખૂબ જરૂરી છે. બજાર ખુલવાથી લોકો ઘરની બહાર નીકળી રહ્યા છે તેથી આ વસ્તુઓનો ઉપયોગ કરવો વધારે મહત્વપૂર્ણ છે.
તેમણે કહ્યું કે, 'આપણે હંમેશાં ધ્યાનમાં રાખવું પડશે કે આપણે કોરોનાને જેટલું રોકી શકીશું, તેટલો જ તે નહીં ફેલાય. જો કોરોના નહીં ફેલાય તો દેશની અર્થવ્યવસ્થા તેટલી ખુલશે, આપણી ઓફિસો ખુલશે, બજારો ખુલશે, પરિવહનના સાધનો ખુલશે અને વધુ નવી નોકરીઓની તકો મળશે.
તેમણે કહ્યું કે, "ભવિષ્યમાં જ્યારે કોરોના સામેની ભારતની લડતનું વિશ્લેષણ કરવામાં આવશે, ત્યારે આ સમયને યાદ કરવામાં આવશે. યાદ કરાશે કે, ભારતે આ મહામારી પર કેવી રીતે જીત મેળવી હતી ભવિષ્યમાં એક ઉદાહરણ તરીકે રજૂ કરવામાં આવશે."
પીએમ મોદીએ કહ્યું કે, અનલોક 1ને બે અઠવાડિયા વીતી ગયા છે, આ સમય દરમિયાન આપણો અનુભવ ભવિષ્યમાં આપણા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજે હું તમારી પાસેથી તમારા સૂચનો જાણીશ જે ભવિષ્યની વ્યૂહરચના શોધવામાં મદદ કરશે.
છેલ્લા કેટલાક અઠવાડિયામાં, હજારો ભારતીયો વિદેશથી ભારત પરત આવ્યા હતા અને સેંકડો સ્થળાંતર કામદારો તેમના વતન પહોંચ્યા હતા. જો કે વિશ્વના અન્ય દેશની સરખામણીમાં ભારતમાં કોરોનાનો કહેર ઓછો છે. મોદીએ કહ્યું કે, ભારતમાં રિકવરી દર દર 50 ટકાથી વધુ થયો છે. ભારત એવા દેશોમાંનો એક છે જ્યાં કોવિડ-19માં સૌથી ઓછા મોત થયા છે.
નોંધનીય છે કે, પીએમ મોદીએ કોરોના મહામારી દરમિયાન છઠ્ઠી વખત મુખ્યપ્રધાનો સાથે બેઠક યોજી હતી.