ગુજરાત

gujarat

શક્તિશાળી ભારતનું ભવ્ય પ્રતિક

By

Published : Jan 11, 2021, 10:59 PM IST

ભારતીય સંસદ એવી એક સંવૈધાનિક સંસ્થા છે જે વિશ્વની 17.7 ટકા જેટલી વસ્તીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે. સંસદની ઇમારત બ્રિટિશ યુગ દરમ્યાન 1927 માં નિર્માણ પામી હતી, અને આ ઇમારત છેલ્લા નવ દાયકાઓ દરમ્યાન આકાર પામેલા સંખ્યાબંધ ઐતિહાસિક બનાવોની સાક્ષી રહી ચૂકી છે. આ ઇમારત લોકશાહીના એક સ્મારક તરીકે અડીખમ ઉભી છે.

શક્તિશાળી ભારતનું ભવ્ય પ્રતિક
શક્તિશાળી ભારતનું ભવ્ય પ્રતિક

ન્યૂઝ ડેસ્ક: ભારતીય સંસદ એવી એક વૈધાનિક સંસ્થા છે જે વિશ્વની 17.7 ટકા જેટલી વસ્તીના ઉજ્જવળ ભવિષ્ય માટે કામ કરે છે. સંસદની ઇમારત બ્રિટિશ યુગ દરમ્યાન 1927 માં નિર્માણ પામી હતી, અને આ ઇમારત છેલ્લા નવ દાયકાઓ દરમ્યાન આકાર પામેલા સંખ્યાબંધ ઐતિહાસિક બનાવોની સાક્ષી રહી ચૂકી છે. આ ઇમારત લોકશાહીના એક સ્મારક તરીકે અડીખમ ઉભી છે. આ માળખાની પવિત્રતા જાળવી રાખતા મોદી સરકારે ભારતીય સ્વતંત્રતાની 75મી વર્ષગાંઠ સુધીમાં સંસદના એક નવા ભવનનું નિર્માણ કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી ઇમારતમાં પ્રાચિન પ્રણાલિકાઓ અને પરંપરાઓ તથા આધુનિક આકાંક્ષાઓ એમ બંનેનું મિશ્રણ કરવાનું આયોજન કરાયું છે. સંસદની નવી ઇમારતનું બાંધકામ હાથ ધરવાની કેન્દ્ર સરકારને અપીલ કરતાં સંસદના બંને ગૃહોના પ્રિસાઇડિંગ ઓફિસરે કહ્યું હતું કે હાલની ઇમારતમાં 1975, 2002 અને 2017માં કેટલાંક સુધારા વધારા કરાયા હતા તેમ છતાં હજુ કેટલીક ખામીઓ અને ક્ષતિ યથાવત રહી છે, અને હાલની ટેકનોલોજી ગૃહોની બેઠકોનું સંચાલન કરવા અપૂરતી છે.

જેમાં સામાજિક અંતર જાળવવું આવશ્યક હતું તે કોવિડ-19ની કટોકટી દરમ્યાન સંસદના ચોમાસું સત્રની બેઠક બોલાવવામાં જે મુશ્કેલીઓ પડી હતી તે દેશના લોકોએ જોઇ હતી. ગૃહોની બેઠક બોલાવવામાં પૂરતી જગ્યાની જે અછત અનુભવાઇ હતી તે પણ સમગ્ર દેશે જોઇ હતી.

આ સમગ્ર ઘટનાક્રમના પરિપ્રેક્ષ્યમાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ વિસ્ટા આધુનિકીકરણ પ્રોજેક્ટના એક ભાગ તરીકે વડાપ્રધાન મોદીએ 10 ડિસેમ્બર, 2020ના રોજ સંસદની નવી ઇમારતના નિર્માણકાર્ય માટે ભૂમિપૂજન કર્યું હતું. જો કે સુપ્રિમ કોર્ટે શરૂઆતમાં જ કેન્દ્ર સરકારને તેના અંતિમ ચુકાદાને આધિન રહીને આ પ્રોજેક્ટને હાથ ધરવો એવો આદેશ આપી દીધો હતો, તેમ છતાં બેંચે બાદમાં એવો બહુમતી ચુકાદો આપ્યો હતો જેમાં મોટા ભાગના વાંધા-વિરોધને રદ કરી નાંખવામાં આવ્યા હતા. આગામી 100 વર્ષની જરૂરિયાતોને પહોંચી વળે એવી ડિઝાઇન ધરાવતી અને એક ભવ્ય ઇમારતનું બાંધકામ આગામી વર્ષે વાસ્તવિક રૂપ ધારણ કરી રહ્યું છે તે બાબત દેશના લોકો માટે ખરેખર એક ગૌરવની વાત છે. વિવિધ ધર્મોના પ્રતિક સમા એક ત્રિકોણની પવિત્રતાને ધ્યાનમાં લેતાં સંસદનું નવું ભવન ત્રિકોણાકાર સ્વરૂપે નિર્માણ પામી રહ્યું છે. લોકસભા, રાજ્ય સભા અને બંધારણીય હોલ એ દેશના ત્રણ રાષ્ટ્રીય ચિહ્નો મોર, કમળ અને કેળના છોડનું પ્રતિબિંબ પાડશે. શ્રેષ્ઠ ભારતના હેતુને સિદ્ધ કરવાની દિશામાં આ એક સીમાચિહ્ન પૂરવાર થશે.

ભારત એ વિશ્વનું સૌથી મોટુ લોકતંત્ર છે, અને ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (કુલ રાષ્ટ્રીય ઉત્પાદન)ની દૃષ્ટિએ તે વિશ્વમાં છઠ્ઠા ક્રમે આવે છે. સુધારેલા અંદાજ મુજબ આ વર્ષનું કેન્દ્રિય બજેટ રૂ. 27 લાખ કરોડ જેટલું રહેશે. જો આપણુ અર્થતંત્ર આટલું કદાવર અને વિશાળ હોય ત્યારે જો રૂ. 1000 કરોડના ખર્ચે સંસદનું નવું ભવન નિર્માણ પામતું હોય તો તેમાં ખામીઓ શોધવાની ક્યાં જરૂર છે?

ભારત રત્ન પ્રણવ મુખરજીએ સૂચન કર્યું હતું કે 130 કરોડની વસ્તી હોવાના નાતે ભારતમાં 1000 જેટલા સંસદ સભ્યો હોવા જોઇએ. સંસદ સભ્યોની સંખ્યા 2026 સુધીમાં નક્કી થઇ જશે તેથી કેન્દ્ર સરકારે લોકસભામાં 888 સાંસદો બેસી શકે એવું આયોજન તૈયાર કર્યું છે. રાજ્યસભામાં 384 સાંસદો સમાવી શકાય એવી યોજના તૈયાર કરાઇ છે. જો કે સાંસદોને બેસવાની આ ક્ષમતા આગામી સો વર્ષની જરૂરિયાતને પહોંચી વળી શકશે કે કેમ તે બાબતે પુનઃમૂલ્યાંકન કરવું પડશે.

ભૂકંપના જોખમને ધ્યાનમાં લેતાં રાષ્ટ્રને પાંચ ઝોનમાં વિભાજિત કરાયું છે. સેન્ટ્રલ વિસ્ટા ચોથા ઝોનમાં નિર્માણ પામી રહ્યું છે જે સૌથી વધુ જોખમી ઝોન ગણાય છે. રાષ્ટ્રપતિભવન, સંસદ, ઉપ-રાષ્ટ્રપતિ અને વડાપ્રધાનની કચેરીઓ અને સત્તાવાર નિવાસ સ્થાન, કેન્દ્ર સરકારની કચેરીઓ, સુપ્રિમ કોર્ટ અને નીચલી કોર્ટો. સાંસદોના ક્વાર્ટર, ત્રણ સશસ્ત્રદળોના અધિકારીઓની ઓફિસો અને સત્તાવાર નિવાસ સ્થાન અને અન્ય કેટલીક ઇમારતો એક જ વિસ્તારમાં આવેલી છે જે અંદાજે 26 ચોરસ કિલોમિટરમાં ફેલાયેલો છે. અત્યંત ભયાનક ભૂકંપની સામે પણ ઝીંક ઝીલી શકે એવું આયોજન ધરાવતું આ ભવ્ય માળખું ભારતની અજરા-અમર ભવ્યતાનું પ્રદર્શન બની રહેશે. આત્મનિર્ભર ભારતના એક ટોકન સમાન જે માળખું આકાર લેશે તે ભારતના ઉદાર અને ઝડપી પ્રગતિનું પ્રેણાસ્ત્રોત બની રહેશે.

ABOUT THE AUTHOR

...view details