ન્યૂઝ ડેસ્કઃ બે દાયકામાં ભારતની આર્થિક પ્રગતિની ગાડી પૂરપાટ દોડે છે, જેનું ઈંધણ તમામ સ્તરે - કેન્દ્ર અને રાજ્ય સરકારો, જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને પરિવારોના દેવામાં વિશાળ વધારા દ્વારા પૂરું પડ્યું છે. લોકડાઉનને કારણે જબરદસ્ત ફટકો પડ્યો હોવા છતાં મોટા પાયે વિવિધ દેવાં કર્યાં હોય તેવાં રાજ્યોને તેનાથી પરોક્ષ મદદ મળી છે.
કેટલાંક રાજ્યો લોકડાઉન પહેલાં પણ નાદારીને આરે પહોંચી ગયાં હોય એટલી જોખમી સ્થિતિ ધરાવતાં હતાં - જેનું મુખ્ય કારણ ગેર વહીવટ તેમજ મતોનું રાજકારણ હતાં, જ્યાં રાજકીય પક્ષો ભવિષ્યના ભોગે આજે નાણાં વહેંચી રહ્યા હતા. આવી લાંબા ગાળે નુકસાનકારક પ્રવૃત્તિઓને લોકકલ્યાણ તરીકે ખપાવવામાં આવે છે. રાજ્યો હવે સતત ઊંચા વ્યાજ દરે નાણાં ઉછીનાં લે છે અને રોજગાર સર્જનને બદલે ઘણીવાર જૂની લોન ચૂકવવા અથવા યોજના માટે ભંડોળ પૂરું પારવા માટે આ ઉધાર નાણાંનો ઉપયોગ કરે છે. કોવિડને કારણે ફરજિયાત લોકડાઉનને પગલે આવાં રાજ્યોને પોતાનું બેજવાબદાર વર્તન ચાલુ રાખવાનું બહાનું મળી ગયું છે.
વધતો જતો દેવાં બોજો વર્ષ 2019-20 દરમ્યાન, કેન્દ્ર સરકારે લગભગ રૂા. 7 લાખ કરોડ ઉછીનાં મેળવ્યાં હતાં, જ્યારે રાજ્યોનાં કુલ દેવાં વધુ રૂા. 6.3 લાખ કરોડનાં હતાં, જે તેમનાં અંદાજપત્રીય અનુમાનો કરતાં ઘણાં વધુ હતાં. કેન્દ્ર સરકાર તેની જરૂરિયાતોમાંથી આશરે 80 ટકા ધિરાણો બેન્કો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડો, પ્રોવિડેન્ટ ફંડ્સ, નાની બચતો વગેરે સહિતનાં નાણાં બજારોમાંથી મેળવે છે. કોવિડ પછી કેન્દ્ર સરકારે જાહેર કર્યું કે ચાલુ નાણાં વર્ષમાં તેનાં અંદાજપત્રિય અનુમાન રૂા. છ લાખ કરોડનાં હતાં, જેની સામે તે કુલ રૂા. 12 લાખ કરોડ ઉછીનાં મેળવશે. જોકે, કેન્દ્ર સરકાનાં આ ધિરાણો પણ વાસ્તવિકતા કરતાં ઓછાં બતાવ્યાં હોય તેવું હોઈ શકે છે, કેમકે પહેલા ત્રણ મહિનામાં જ કેન્દ્ર સરકારે રૂા. 4.5 લાખ કરોડ ઉછીનાં મેળવ્યાં છે, જ્યારે રાજ્યોએ સ્ટેટ ડિપાર્ટમેન્ટ લોન્સ તરીકે રૂા. 1.8 લાખ કરોડ ઉધાર લીધાં છે તેમજ વધુ રૂા. 60,000 કરોડ આરબીઆઈના સપોર્ટ તરીકે ટૂંકા ગાળાનાં અન્ય ધિરાણો તરીકે મેળવ્યાં છે. સરકારના અનુમાનોને આધારે જીડીપી સામે દેવાંનો ગુણોત્તર લગભગ 68 ટકાથી વધીને 86 ટકા થવાની ધારણા છે. દેવાં-જીડીપી ગુણોત્તર ધ્યાનમાં લેવાનું ભારત જેવા દેશ માટે તેમજ હાલના સંજોગોમાં ઉપયોગી નહીં નીવડે કેમકે, (અ) જીડીપીમાં તીવ્ર ઘટાડાને પગલે સરખામણી વધુ ખરાબ બની અને, (બ) મોટા પાયે ગરીબીનો મતલબ કે દેવાંનો બોજો અંદાજ કરતાં અત્યંત ઓછા લોકોના માથે છે. આને પરિણામે એફઆરબીએમ એક્ટ હેઠળ વર્ષ 2023 સુધીમાં ડેટ-જીડીપીનો રેશિયો ઘટાડીને 60 ટકા કરવાનું ધ્યેય દીવાસ્વપ્ન જેવું બની જશે અને હવે ઓછામાં ઓછું 2033 સુધી તો આ ધ્યેય હાંસલ નહીં કરી શકાય.
અહીં એ નોંધવું મહત્ત્વનું છે કે કેન્દ્ર સરકારનાં ધિરાણો અને રાજ્ય સરકારનાં ધિરાણો વચ્ચે તફાવત છે. કેન્દ્ર સરકાર પાસે વિશાળ અસ્ક્યામતો છે અને કરવેરા જેવાં તમામ ઉપાયો પણ છે, જ્યારે રાજ્યો પાસે પોતાની આવક વધારવા માટે ગણ્યાં ગાંઠ્યા વિકલ્પો છે. એટલે, એ નોંધવું જરૂરી છે કે સરકાર ડિવેસ્ટમેન્ટના રસ્તે જઈને દેવાંના બોજને હળવો કરી શકે છે, પરંતુ રાજ્ય પાસે ભાગ્યે જ કોઈ અસ્ક્યામતો છે, કેમકે વર્ષ 1991થી રાજ્યોએ અસ્ક્યામતોના સર્જનમાં રોકાણ કર્યાં નથી, જ્યારે મોટા ભાગનાં રાજ્યો માંડ માંડ જાળવી શકે છે.
ટેબલ ઃ દેવાંનાં કેટલાક આંકડા (રૂા. કરોડમાં)
કુલ ચૂકવવાનાં બાકી દેવાં 1 | 2020થી 2025 દરમ્યાન પાકતી મુદત હોય તેવાં દેવાં 2 | 01.04.2020થી 21.07.2020 દરમ્યાન મેળવવામાં આવેલી અધિકૃત સ્ટેટ ડેવલપમેન્ટ લોન (એસડીએલ) 3 | આરબીઆઈની સુવિધાઓ મેળવી હોય તેવા મહિનાઓની સંખ્યા 4 | 2019-20માં આરબીઆઈનો ઓવરડ્રાફ્ટ મેળવ્યો હોય તેવા મહિનાઓની સંખ્યા 5 | |
કેન્દ્ર | 94.62 | 11,27,958.36 | લાગુ પડતું નથી | લાગુ પડતું નથી | લાગુ પડતું નથી |
આંધ્રપ્રદેશ | 3.41 | 92,611.6 | 16,000 | 11 | 7 |
તેલંગાણા | 1.68 | 10,876.9 | 12,500 | 12 | 2 |
મહારાષ્ટ્ર | 5.02 | 1,18,468.7 | 27,000 | 2 | 0 |
ઉત્તરપ્રદેશ | 6.02 | 84,406.0 | 5,500 | 0 | 0 |
પશ્ચિમ બંગાળ | 4.37 | 95,090.6 | 11,500 | 8 | 1 |
તામિલનાડુ | 4.04 | 96,871.6 | 26,000 | 0 | 0 |
પંજાબ | 2.29 | 54,111.7 | 4,200 | 12 | 7 |
ગુજરાત | 3.25 | 73,172.6 | 7,500 | 0 | 0 |
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો | 52.58 | 1,050,843.5 | 1,80,055 | લાગુ પડતું નથી | લાગુ પડતું નથી |
સ્ત્રોત ઃ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા ટાઈમ સીરીઝ ડેટા
1 ત્રિમાસિક અહેવાલ ઃ જાહેર દેવાં વ્યવસ્થાપન ઃ જાન્યુઆરી - માર્ચ, 2020 (ભારત સરકાર, નાણાં મંત્રાલય, રાજ્ય સરકારનાં દેવાં અંદાજપત્રિય અનુમાનો છે (આરબીઆઈ))
2 01.04.2020 પછીની ઉધાર બાકાત