અમદાવાદ : રાજીવ સાતવે ટ્વીટ કરતાં લખ્યું કે, દેશમાં વધી રહેલા કોરોના વાયરસના પ્રભાવથી, 12 માર્ચથી સાબરમતી આશ્રમથી શરૂ થનાર ગાંધી સંદેશ યાત્રાને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ મુલતવી રાખવાનો નિર્ણય કર્યો છે.
છેલ્લી ઘડીએ કોંગ્રેસની ‘ગાંધી સંદેશ યાત્રા’ મોકૂફ,જાણો શું છે કારણ
2 માર્ચથી ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ગાંધી સંદેશ યાત્રાનો પ્રારંભ થવાનો હતો. આ માટે કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી યાત્રાને પ્રસ્થાન કરાવવાના હતા. યાત્રા માટેની તડામાર તૈયારીઓ ચાલી રહી હતી. અંતિમ સમયે તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો હતો. પણ હોળીના દિવસે જ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવે ટ્વીટ કરીને માહિતી આપી કે, કોરોના વાયરસને કારણે ગાંધી સંદેશ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી અને ઐતિહાસિક દાંડી કૂચની 90મી જયંતીની ઉજવણી ટાણે ગુજરાત કોંગ્રેસ દ્વારા 12મી માર્ચે ‘ગાંધી સંદેશ યાત્રા’નો પ્રારંભ થવાનો હતો. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આ પદયાત્રાને પ્રસ્થાન કરાવાના હતા. રાહુલ ગાંધી આશ્રમથી ચંડોળા સુધી પદયાત્રામાં જોડાવવાના હતા, જેમાં અલગ અલગ 11 સ્થળો ઉપર સ્વાગત કરવામાં આવનાર હતું. 26 દિવસ સુધી ચાલનારી આ પદયાત્રા 386 કિ.મી.નું અંતર કાપીને 6 એપ્રિલના રોજ દાંડી ખાતે પહોંચવાની હતી. પણ કોરોનાને કારણે આ યાત્રા મોકૂફ રાખવામાં આવી છે.