ગુજરાત

gujarat

ETV Bharat / bharat

રાજસ્થાનમાં અમિત શાહ કોંગ્રેસ પર ગરજ્યા, ભ્રષ્ટાચાર અને લાલ ડાયરીને લઈને લગાવ્યા આકરા આરોપ

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી લડી રહેલા રાજકીય પક્ષો વચ્ચે રાજકીય દાવપેચ ચાલુ છે. આ દરમિયાન શુક્રવારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અજમેરના વિજયનગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ દેશની આઝાદી બાદથી અયોધ્યાના મુદ્દાને અટકાવી રહી છે.

By ETV Bharat Gujarati Team

Published : Nov 17, 2023, 9:17 PM IST

રાજસ્થાનમાં અમિત શાહ કોંગ્રેસ પર ગરજ્યા
રાજસ્થાનમાં અમિત શાહ કોંગ્રેસ પર ગરજ્યા

રાજસ્થાન :રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો વચ્ચે રાજકીય ખેંચતાણ ચાલુ છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અજમેરના વિજયનગરમાં ચૂંટણીની જાહેર સભા યોજી હતી. આ દરમિયાન ચૂંટણી રેલીને સંબોધિત કરતા કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારથી દેશ આઝાદ થયો છે ત્યારથી કોંગ્રેસ અયોધ્યામાં રામ મંદિરના મુદ્દાને અટકાવી રહી છે અને દેશવાસીઓને ગુમરાહ કરી રહી છે.

ચૂંટણી પહેલા ગૃહપ્રધાનનું વચન : અમિત શાહે કહ્યું કે, જ્યારે પીએમ મોદી 2019 માં ફરીથી વડાપ્રધાન બન્યા ત્યારે તેમણે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું. ત્યાર પછી હવે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બની રહ્યું છે અને 22 જાન્યુઆરી, 2024 ના રોજ રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહ્યી છે. 22 જાન્યુઆરીએ ફરીથી દિવાળી મનાવવાની છે. તે દિવસે સમગ્ર રાજસ્થાનમાં બીજી દિવાળી ઉજવવામાં આવે છે. અમે ચૂંટણી ઢંઢેરામાં વચન આપ્યું છે કે, જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવશે ત્યારે અમે રાજ્યના લોકોને એક-એક કરીને અયોધ્યા લઈ જઈશું.

આ લોકોએ આખા રાજસ્થાનને ATM બનાવી દીધું છે. જ્યારે પણ કોંગ્રેસને પૈસાની જરૂર પડે છે ત્યારે તેમના નેતાઓ આવીને એટીએમમાંથી પૈસા ઉપાડે છે. આ જ કારણ છે કે આજે રાજસ્થાન ભ્રષ્ટાચારમાં નંબર વન પર છે. -- અમિત શાહ (કેન્દ્રીય ગૃહપ્રધાન)

ગેહલોત સરકાર પર આક્ષેપ :જાહેર સભા દરમિયાન અમિત શાહે રાજસ્થાનની ગેહલોત સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે આરોપ લગાવ્યો કે ગેહલોત સરકારે વોટ બેંકની રાજનીતિ માટે રાજસ્થાનમાં તમામ હદ વટાવી દીધી છે. કન્હૈયાલાલ હત્યા કેસનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આટલી મોટી ઘટના બની પરંતુ તેમના મોઢામાંથી એક પણ શબ્દ ન નીકળ્યો. ગેહલોત સરકારે રાજસ્થાનને રમખાણોનું રાજ્ય બનાવી દીધું છે.

અમિત શાહે લગાવ્યા આકરા આરોપ : અમિત શાહે વધુમાં કહ્યું કે, ગેહલોત સરકારે પાંચ વર્ષમાં પેપર લીક કરીને રાજસ્થાનના 1 કરોડ 40 લાખ યુવાનોનું જીવન બરબાદ કર્યું છે. આ ઉપરાંત આજે રાજસ્થાન ગુનાખોરી, તુષ્ટિકરણ, મહિલાઓ અને દલિતો પરના અત્યાચારની બાબતમાં નંબર વન પર છે. આ સિવાય ભ્રષ્ટાચારની બાબતમાં પણ રાજસ્થાન નંબર વન છે. એ જ રીતે પેપર લીકના મામલામાં પણ તે નંબર વન છે. ગેહલોત સરકારે રાજસ્થાનના લોકોનું જીવન દયનીય બનાવી દીધું છે.

લાલ ડાયરીનો ઉલ્લેખ : જાહેર સભાને સંબોધિત કરતા અમિત શાહે કહ્યું કે, ગેહલોત સરકારના કાળા કારનામા આ લાલ ડાયરીમાં છે. લાલ ડાયરીમાં હજારો કરોડના ભ્રષ્ટાચારનો હિસાબ છે. રાજસ્થાનમાં આઝાદીથી હાલ સુધીમાં કોઈપણ સરકારે જેટલો ભ્રષ્ટાચાર નહીં કર્યો હોય, એટલો ગેહલોત સરકારે પાંચ વર્ષમાં કર્યો છે. અનેક કૌભાંડોનો ઉલ્લેખ કરતાં અમિત શાહે વધુમાં કહ્યું કે, કોંગ્રેસની સરકાર ગરીબોનું રાશન પણ ખાઈ ગઈ છે. આવી સ્થિતિમાં આ લોકો રાજસ્થાનનું કોઈ ભલું નહીં કરી શકે.

  1. આજે અમિત શાહ તેલંગાણા પહોંચશે, આવતીકાલે ભાજપનો મેનિફેસ્ટો જાહેર કરશે
  2. રાહુલ ગાંધી આજે તેલંગાણામાં, પાંચ જનસભાઓ દ્વારા મતદારોને આકર્ષવાનો કરશે પ્રયાસ, 30 નવેમ્બરે છે મતદાન

ABOUT THE AUTHOR

...view details