વડોદરા: નાણાપ્રધાન નિર્મલા સીતારમણ ચાલુ વર્ષ માટે સંસદમાં બજેટ રજૂ કર્યું હતું. જેમાં ખાસ કરીને શિક્ષણને લઈને વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. હાલમાં આ જાહેરાતમાં એકલવ્ય મોડેલ શાળાઓ માટે શિક્ષકોની ભરતી, આદિવાસી માટે વિશેષ શાળા ખોલશે, ડિજિટલ લાઈબ્રેરી, નર્સિંગ કોલેજો જેવી બાબતો સમાવવામાં આવી છે. આ અંગે ETV BHARAT દ્વારા શિક્ષણવિદ સાથે અભિપ્રાય લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો તેઓ શુ કહી રહ્યા છે જાણો.
CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે શિક્ષણ ક્ષેત્રના બજેટ 2023-24 અંગે અભિપ્રાય આપ્યો : કેલોરેક્સ ગ્રુપના MD અને CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફે શિક્ષણ ક્ષેત્રના બજેટ 2023-24 અંગે અભિપ્રાય આપીને જણાવ્યું હતું કે, શાળા શિક્ષણ માટે 68,804 કરોડ અને ઉચ્ચ શિક્ષણ માટે 44,094 કરોડના બજેટની અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી ખૂબ આવકારદાયક છે. શિક્ષણના દૃષ્ટિકોણથી આ બજેટમાં થોડી હિટ અને થોડી મિસ છે. જેમકે, રાષ્ટ્રીય ડિજિટલ લાઇબ્રેરીથી વિવિધ ભાષાઓ, ભૌગોલિક અને ડિજીટલ ઉપકરણોની પદ્ધતિઓ દ્વારા ગુણવત્તાયુક્ત પુસ્તકો દરેક પ્રદેશના વિદ્યાર્થીઓ માટે સરળતાથી ઉપલબ્ધ થઈ શકશે. શિક્ષણની નવિનત્તમ પદ્ધતિઓ, અભ્યાસક્રમ અને વિષયોની પ્રવાહિતા તેમજ વ્યવસાયિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે તે આવકારદાયક બાબતો છે. ડિજિટલ શિક્ષણમાં વપરાતી ટેબ્લેટ જેવી વસ્તુઓનો પુરવઠો જેના પર હાલમાં 28 ટકા જીએસટી છે તેમાં રાહતની અપેક્ષા હતી તેમજ દરેક વિદ્યાર્થીને પોષાય તે માટે પાઠ્યપુસ્તકો સરળતાથી અને રાહતદરે મળી શકે તેવી વ્યવસ્થા થવી જોઈએ.
![કેલોરેક્સ ગ્રુપના MD અને CEO ડૉ. મંજૂલા પૂજા શ્રોફ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17639543_1.jpg)
બજેટમાં અનેક બાબતો આવરી લેવાઈ: કેન્દ્રીય બજેટમાં શિક્ષણને લઈ જાહેર કરાયેલ જાહેરાત અંગે શિક્ષણવિદ પરેશ શાહે જણાવ્યું હતું કે શિક્ષણને બજેટમાં પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. જેમાં મેડિકલ કોલેજો સાથે નર્સિંગ કોલેજોને જોડવામાં આવી રહી છે. સાથે ફાર્મા અને હેલ્થ સેકટર પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે સ્કિલ બાબતે પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. એકલવ્ય સ્કૂલોમાં શિક્ષકોની ભરતી અને શિક્ષકોની તાલિમ બાબતે પણ જોગવાઈ કરવામાં આવી છે તે ખૂબ સારી બાબત છે. બજેટમાં ડિજિટલ લાઈબ્રેરી બનાવવાની વાત કરી છે તે પણ આજના બદલાતા યુગમાં જરૂરી છે.