મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કહ્યું કે, કાંકરિયા રાઈડ અકસ્માતમાં તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થશે. તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ઘટે નહીં તે માટે પગલાં લેવાશે.
મુખ્યપ્રધાને કાંકરિયા કેસ મામલે ઊંડી તપાસની પણ ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, અમદાવાદની કાંકરિયાની ઘટના બાદ રાજ્યમાં આવી કોઈપણ રાઈડ્સની મંજૂરી આપતા પહેલા તમામ પાસાની તપાસ કરવામાં આવશે. તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં પણ સાતમ-આઠમના મેળા ભરાશે, જેમાં આવી રાઈડ લગાવાશે.
તે વિશે મુખ્યપ્રધાને કહ્યું કે, સાતમ આઠમના મેળાઓમાં પણ આ પ્રકારની નાની મોટી રાઈડ ચાલતી હોય છે. ત્યારે પૂરતી ચકાસણી સાથે તેમને મંજૂરી આપવામાં આવશે. સમયોનુસાર તેનું નિરીક્ષણ અને તપાસ થાય તેવા પગલાં લેવામાં આવશે. સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં સાતમ આઠમના મેળા યોજાય છે. તેમાં ખાસ તકેદારી રાખવામાં આવશે. મંજૂરી આપ્યા પછી નિયમિત તેની તપાસ નહીં થાય તો તેના પણ પગલાં ભરવામાં આવશે.