- અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા
- આંતકીના નવા મોડ્યુલ સાથે ત્રણ આરોપીને દબોચી લીધા
- શહેર પોલીસ કમિશનરને એક સંદેશ મળતા તપાસમાં ખુલ્યું મોટું કાંડ
અમદાવાદઃ શહેરના પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને થોડા દિવસ પહેલા એક ખાનગી એજન્સી દ્વારા ઇનપુટ આપવામાં આવ્યાં હતા. જેમાં આંશરે લાખ ફોન કોલ્સની જાણકારી આપવામાં આવી હતી. જેમાં એક સંદેશ હતો કે, કાલુપુર વાલા કામ હો ગયા હૈ, આપકા ફોન કોલની વિગત મળતાની સાથે જ, ત્યારે ખુદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા કારણ કે, કાલુપુરમાં એવી કોઈ મોટી ઘટના ઘટી જ ન હતી છતાં તેમણે આ મામલે ક્રાઈમ બ્રાન્ચને તપાસનો આદેશ આપ્યો હતો અને ક્રાઇમ બ્રાન્ચને ઉંડાણપૂર્વક તપાસ કરવા માટે કડક સૂચન કરવામાં આવ્યું હતું. સૂચના મળતા જ ક્રાઈમ બ્રાન્ચે દેશના વિવિધ શહેરોમાં પાકિસ્તાની જાસૂસી સંસ્થાએ બિછાવેલી જાળનો પર્દાફાશ કર્યો છે. જેમાં ISIએ ઉભા કરેલા મોડ્યુલને ક્રાઈમ બ્રાન્ચે શોધી કાઢી ત્રણ આરોપીઓની દબોચી લીધા હતા અને લો ફૂલ એક્ટિવિટીનો ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આતંકી સંગઠનના નવા મોડ્યુલને ચલાવનારા ત્રણ આરોપીને ઝડપ્યા આ પણ વાંચોઃ કચ્છમાંથી ISI એજન્ટ ઝડપાયો, પાકિસ્તાન માટે ગુપ્ત જાણકારીઓ પહોંચાડતો હતો
કાલુપુરની આગના બનાવમાં CCTVના આધારે થયો સમગ્ર પર્દાફાશ
પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવને મળેલા એક સંદેશના આધારે ક્રાઈમ બ્રાન્ચના અધિક પોલીસ કમિશનર પ્રેમવિરસિંઘ અને નાયબ પોલીસ કમિશ્નર ચૈતન્ય મંડલીકે ખાનગી રાહે તપાસનો દોર શરૂ કર્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું કે, પહેલા તો કાલુપુરમાં એવી કોઈ મોટી ઘટના ધ્યાનમાં આવી જ નથી. કાલુપુર પોલીસ પાસે જાણકારી માંગતા માત્ર એટલી જાણકારી મળી કે રેવડી બજારમાં સાત દુકાનોમાં આગ લાગી હતી અને તે માત્ર અકસ્માત હતો. ત્યારે સાવ અંધારામાં રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમના ઇન્સ્પેક્ટર બ્રહ્મભટ્ટે આગ લાગી ત્યારના CCTV ફૂટેજ જોવાનું નક્કી કર્યું અને પહેલી એક કડી હાથે લાગી હતી. જેમાં સ્પષ્ટ થયું કે આગ લાગી ન હતી પણ લગાડવામાં આવી હતી. જેમાં ત્રણ યુવકો આવ્યાં હતા જેમના હાથમાં પેટ્રોલની બોટલ હતી. એક એક્ટિવા ઉપર આવેલા આ યુવકોએ આગ લગાવી હતી. જોકે આગમાં કોઈ જાનહાની થઈ ન હતી. પરંતુ 54 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. ફૂટેજમાં નજરે પડતા એક્ટીવાના આધારિત તપાસ કરતાં ક્રાઇમ બ્રાંચના હાથે ભૂપેન્દ્ર ઉર્ફે પ્રવીણ વણઝારા હાથમાં આવ્યો હતો.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આતંકી સંગઠનના નવા મોડ્યુલને ચલાવનારા ત્રણ આરોપીને ઝડપ્યા ભુપેન્દ્રએ કરી કબૂલાત
શહેરના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા ભુપેન્દ્રને ક્રાઈમ બ્રાન્ચ લઈ આવવામાં આવ્યો હતો, ત્યાં ભુપેન્દ્ર પોલીસનો તાપ સહન કરી શક્યો ન હતો. ભુપેન્દ્રની કબૂલાત પ્રમાણે ગત વર્ષે લોકડાઉન દરમિયાન તેનો સંપર્ક ફેસબુક મારફતે બાબાભાઈ કંપની સાથે થયો હતો. પોતાની ઓળખ ભાઈ તરીકે આપનારી વ્યક્તિ ભુપેન્દ્ર સાથે સંપર્કમાં આવ્યાં પછી ભુપેન્દ્રની આર્થિક પરિસ્થિતી અંગેની જાણકારી મેળવી લીધી હતી. ભુપેન્દ્ર ખુદ દારૂણ સ્થિતિમાં હતો અને વ્યાજના ચક્કરમાં ફસાઈ ગયો હતો. વ્યાજખોરો ભુપેન્દ્ર સહિત તેના પરિવારને ત્રાસ આપતા હતા, જેથી બાબાભાઈ એ ભુપેન્દ્રને સલાહ આપી હતી કે જો સમાજના દૂષણને સાફ કરીશ તો હું તને અઢળક રૂપિયા આપીશ.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આ પણ વાંચોઃ વડોદરા શહેરમાંથી ISIS સંગઠનનો આતંકી ઝડપાયો
કોઈ પણ વ્યક્તિની હત્યા કરવાનું કર્યું હતું નક્કી
આરોપી ભુપેન્દ્ર પૈસા માટે થઈ કઈ પણ કરવા માટે તૈયાર થયો હતો. બાબાભાઈ એ તેને કહ્યું કે તને ઠીક લાગે તેવી કોઈપણ વ્યક્તિની તારે હત્યા કરવાની અને તે માટે હું તને ચાર લાખ રૂપિયા આપીશ કોને મારવો તે તારે જ નક્કી કરવાનું છે. ભુપેન્દ્ર અને બાબાભાઈ ફેસબુક મેસેન્જર અને વિવિધ એપનો ઉપયોગ કરી એકબીજા સાથે સતત સંપર્કમાં હતા. એક તરફ વ્યાજનું ચક્કર હતું અને બીજી બાજુ પૈસાની ખુબ જરૂર હતી એટલે ભુપેન્દ્ર વણઝારાએ કોઈનું પણ ખૂન કરવા તૈયાર થઈ ગયો હતો, પણ તેની સમસ્યા હતી કે તેની પાસે હથિયાર ન હતું ભુપેન્દ્ર જ્યારે હથિયારની માંગણી કરી ત્યારે બાબા ભાઈનો સંદેશ આવ્યો કે, મધ્યપ્રદેશથી તારો કોઈ સંપર્ક કરશે અને હથિયાર આપશે.
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે આતંકી સંગઠનના નવા મોડ્યુલને ચલાવનારા ત્રણ આરોપીને ઝડપ્યા હત્યા માટે MP થી હથિયાર લઈ આવેલા ભુપેન્દ્રની થઈ હતી ધરપકડ
બાબાની સૂચના પ્રમાણે મધ્યપ્રદેશથી વ્યક્તિનો સંપર્ક તો થયો પણ તેણે હથિયાર પેટે 14 હજાર રૂપિયાની માગણી કરી હતી. ભુપેન્દ્ર પાસે પૈસા ન હતા એટલે તેણે ફરી બાબા પાસે પૈસાની માગણી કરતા બાબાએ જુદા-જુદા ટ્રાન્ઝેક્શન કરી ભુપેન્દ્રના એકાઉન્ટમાં 25 હજાર રૂપિયા મોકલી આપ્યા હતા. પૈસા આવી જતા ભુપેન્દ્ર મધ્યપ્રદેશ ગયો હતો અને તમંચો ખરીદી પાછો આવી રહ્યો હતો, ત્યારે ખેડા પોલીસના હાથે પકડાઈ ગયો અને એક અઠવાડિયું જેલમાં હતો.
આ પણ વાંચોઃ ભારતમાં હુમલો કરવા માટે પાકિસ્તાન લઇ રહ્યું છે સ્થાનિક અપરાધીઓનો સાથ
મોટી ઘટનાને અંજામ આપવામાં અઢળક રૂપિયાની આપવામાં આવી હતી લાલચ
જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ પછી ફરી મેસેન્જર દ્વારા ભુપેન્દ્ર અને બાબા સંપર્કમાં આવ્યા ત્યારે બાબાએ કહ્યું ખૂન તારાથી થશે નહીં પણ તું કોઈ મોટી ઘટનાને અંજામ આપ તો હું તને પૈસા આપીશ. પૂર્વ વિસ્તારમાં ભુપેન્દ્ર રહેતો હોવાને કારણે તેને રેવડી બજારની જાણકારી હતી. ભુપેન્દ્રએ કહ્યું, જો રેવડી બજારમાં આગ લાગે તો મોટું નુકસાન થઈ શકે છે. બાબાએ આ કામ માટે તેને દોઢ લાખ આપવાનું વચન આપ્યું હતું. જેથી 20 માર્ચ 2020ના રોજ ભુપેન્દ્ર પોતાના બે મિત્ર અનિલ ખટિક અને અંકિત પાલ સાથે રેવડી બજાર આવ્યો હતો અને દુકાનોને આગ ચાંપી હતી જેનો વીડિયો બનાવી બાબાને મોકલ્યો હતો કામ થઈ જતા બાબાએ રમેશ કાંતિની આંગડિયા પેઢીમાંથી દોઢ લાખ રૂપિયા મોકલી આપ્યા હતા, જેમાંથી 80 હજાર પોતે રાખી બાકીની રકમ અંકિત અને અનિલને આપી હતી. આ જાણકારીને આધારે ક્રાઈમ બ્રાન્ચે અંકિત અને અનિલને દબોચીને તપાસ આગળ ધરી હતી. બાબાએ ભુપેન્દ્રને એવું પણ જણાવ્યું હતું કે, આ કામમાં મજા આવી ન હતી કંઈક મોટું ઘર કે જેમાં આર્થિક નુકશાની પણ થાય અને લોકોના મૃત્યુ પણ થાય.
બાબાભાઈના ફેસબુક એકાઉન્ટની ક્રાઈમ બ્રાન્ચે કરી તપાસ
અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ભાઈ ઉર્ફે બાબાભાઈ કંપની નામના ફેસબુક એકાઉન્ટ ધરાવનારા બાબા ટેકનીકલ એનાલીસીસ મુજબ ફેસબુક એકાઉન્ટ ઉપર પોતાના અલગ-અલગ નામો બદલતો હોય તેવી જાણકારી મળી હતી. તેના પ્રોફાઈલ પીક તરીકે હાજી મસ્તાન અને અન્ય ગેંગસ્ટરના ફોટા તેમજ માફિયાભાઈ વગેરે સિમ્બોલ મુકેલા છે. આ સિવાય ફેસબુક એકાઉન્ટ પર "Islam Is Our Soul, knowledge for world muslim youths@IIOSKFWMY786 community" જેવા અલગ અને નામના ભેજો તેની ઉપર જોવા મળ્યા હતા. જે પેજ નેપાળથી ઓપરેટ થઈ રહ્યું હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. જેમાં ધાર્મિક કટ્ટરતા દર્શાવતા સ્લોગન જેવા કે "યહી આરજુ કિ તાલીમે કુરાન આમ હોય જાયે હર એક પરચમ સે ઉંચા પરચમે ઇસ્લામ હો જાયે" લખેલ હતું. જે બંને પેજ કોઈ એક જ વ્યક્તિ ઓપરેટ કરી રહ્યો હોય તેવું પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે. આરોપીઓ વિદેશી ગુપ્તચર ઈસમ બાબાભાઈ ઉર્ફે બાબા કંપની નામથી ફેસબુક એકાઉન્ટ ધરાવતા વ્યક્તિ કે જે પોતાની નવીન ત્રાસવાદી મોડ્યુલ અપનાવી પોતાની ઓળખ છુપાવી ભારતીય નાગરિકોને નાણાકીય પ્રલોભન આપી દેશની આંતરિક સુરક્ષા જોખમાય તેવી રીતે જાનહાનિ આર્થિક નુકસાન ભય અને આતંક ફેલાવવાની ગેરકાયદેસર અને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતો હોવાનું હાલના તબક્કે જણાઈ આવ્યું છે.
આંગડિયા પેઢીમાંથી આવેલા રૂપિયા કોને મોકલ્યા?
હવે ક્રાઈમ બ્રાન્ચ માટે મહત્વનું હતું કે, ભાઈ ઉર્ફે બાબા કોણ છે. ક્રાઈમ બ્રાન્ચે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરતા બાબાભાઈનું લોકેશન અલગ અલગ દેશમાં હોવાનું સામે આવ્યું હતું. જોકે ખાનગી અને વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે, બાબા ખરેખર ભારતમાં છે અને તે અલગ-અલગ સર્વરનો ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ બાબા કંપની પાકિસ્તાનના કરાચીમાંથી ઓપરેટ થઇ રહી હતી. ત્યારે આંગડિયા પેઢીમાંથી આવેલા રૂપિયા કોને મોકલ્યા છે તે બાબતે તપાસ કરતાં ક્રાઈમ બ્રાંચે મુંબઈની કાંતિ રમેશ આંગડિયા પેઢીનો સંપર્ક કરી અમદાવાદમાં ડોઢ લાખ કોણે મોકલ્યા તેની જાણકારી મેળવી તો ખબર પડી કે, 15 લાખ રૂપિયા દુબઈથી આવ્યાં હતા અને તે પૈકી દોઢ લાખ અમદાવાદ મોકલવાની સૂચના હતી.
રૂપિયા 15 લાખ દુબઈથી કોણે મોકલ્યા?
દુબઈથી 15 લાખ કોણે મોકલ્યા તેની તપાસ કરતાં માલૂમ પડ્યું કે, કોઈ ખોઝા નામની વ્યક્તિએ મોકલ્યા હતા. ખોઝાનો સંપર્ક કરતા તેણે જાણકારી આપી કે તેને પૈસા કોંગોમાંથી આવ્યા હતા આમ સમગ્ર ઘટનાના તારા આંતરરાષ્ટ્રીય સ્તરના હોવાના સામે આવ્યાં હતા. ભુપેન્દ્રની પૂછપરછમાં બાબા દ્વારા સંપર્કમાં આવેલા દિલ્હીના સદ્દામનો ઉલ્લેખ આવતાં ક્રાઇમ બ્રાંચે આ મામલે દિલ્હી પોલીસને એલર્ટ કરતા દિલ્હી પોલીસે સદામને શોધી કાઢ્યો હોત. ત્યારે ચોંકાવનારી જાણકારી મળી કે ભુપેન્દ્રની જેમ બાબાએ સદ્દામની પણ પૈસાની લાલચ આપી કોઈની પણ હત્યા કરી નાખવાનું કહ્યું હતુ, જેથી સદ્દામે બે વ્યક્તિઓની હત્યા કરી હતી. આમ પાકિસ્તાની સ્થિત ISI ભારતના યુવાનોને પૈસાની લાલચમાં પહેલા નાના કામ કરાવી પછી કોઈ મોટી ઘટનાને અંજામ આપવાની હતી, પણ તે પહેલાં ત્રણ યુવકો ઝડપાઈ ગયા છે.
દેશની સેન્ટ્રલ એજન્સી એલર્ટ
આંગડિયા પેઢીની જાણકારી પ્રમાણે તેમને દુબઈથી જે પૈસા આવતા હતા તે ગુજરાતના સુરત, વડોદરા અને ભાવનગર તેમજ દિલ્હી મુંબઈ અને બેંગલોર પણ મોકલાતા હતા. આમ બાબાએ દેશના અનેક શહેરમાં પોતાના જુદા જુદા મોડલો તૈયાર કર્યા છે જેના કારણે સેન્ટ્રલ એજન્સી પણ હવે ચિંતામાં આવી ગઈ છે. સેન્ટ્રલ એજન્સીએ હાલના તબક્કે તમામ શહેર તથા રાજ્યોમાં ગુપ્તચર એજન્સીઓને એલર્ટ કરી દીધી છે. સાથે જ સૂચના આપવામાં આવી છે કે, કોઈપણ જાતના શંકાસ્પદ લાગતા વ્યક્તિને તપાસ કરવામાં આવે સાથે જ કોઈ પણ વ્યક્તિ કોઈ અવનવા મોડ્યુલ સાથે જોડાયેલા હોય કે આવી પ્રકારની કોઇપણ મોટી ઘટના બની હોય તો તેમાં તુરંત તપાસ કરવામાં આવે, આ ઉપરાંત આસપાસના CCTV પણ તપાસવામાં આવે જેમાં શંકાસ્પદ લાગતા તમામ વ્યક્તિની અટકાયત કરી પુછપરછ કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.
કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ત્રણેય આરોપી વિરૂદ્ધ IPC કલમ 120 B, 121 A, 436 તથા ગેરકાયદેસર પ્રવૃત્તિઓ બાબતે અધિનિયમની કલમ 16,18, 18 B તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 66 C મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આરોપી ભુપેન્દ્ર અને અનિલની તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે અંકિતને કોરોના પોઝિટિવ હોવાથી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.