વલસાડઃ ધરમપુર તાલુકાના પીપરોળ ગામે આવેલી નવજાગૃતિ મંડળ દ્વારા સંચાલિત સસ્તા અનાજની દુકાન જે રમણભાઈ પોતાના નિવસ્થાને ચલાવે છે. તે 3 એપ્રિલના રોજ શુક્રવારે ખુલી જ નહીં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. લોકો વહેલી સવારે જ્યારથી તેઓ અનાજ લેવા પહોંચ્યા ત્યારથી દુકાનદારે તેમને એમ કહી દીધું કે, દુકાનમાં સ્ટોક પૂર્ણ થઇ ગયો છે અને લોકો વિલા મોઢે પરત ફર્યા હતા.
ધરમપુર તાલુકાના પીપરોળ ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં અંદાજિત 329 જેટલા રેશનકાર્ડ ધારકો છે, ત્યારે આવા તમામ રેશનકાર્ડ ધારકોને 1 એપ્રિલથી લોકડાઉનના સમયમાં સરકારે મફત અનાજ આપવાનું નક્કી કર્યુ છે.
હાલમાં કોરોના ચેપ ન લાગે તે માટે અંગૂઠાનું નિશાન લઇ ઓનલાઈન કુપન કાઢવાની છે. છતા પણ દુકાનદારો દ્વારા લોકો પાસે કુપન કઢાવવાનો આગ્રહ રાખી રહ્યાં છે.
3 એપ્રિલના રોજ વહેલી સવારથી પીપરોળ ગામે સસ્તા અનાજની દુકાન ખુલ્લી નહોતી અને લોકો અનાજ લેવા માટે દુકાને પહોંચ્યા તો દુકાનદારે કહ્યું કે, હાલમાં અનાજનો જથ્થો પૂરો થઈ ગયો છે. જો કે, દુકાનદારે મીડિયા સમક્ષ જણાવ્યું કે, તેની પાસે 1400 કિલો જેટલો જથ્થો હજુ પણ પડ્યો છે. છતાં દુકાન બંધ હોવાને કારણે નજીકમાં આવેલા રાનવેરી, ડોંગરી ફળીયા, પીપરોળ વિસ્તારના 150 જેટલા લોકોને અનાજથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. આ સમગ્ર બાબતે જિલ્લા કલેક્ટર, પૂરવઠા અધિકારી અને ધરમપુર તાલુકા પૂરવઠા મામલતદાર તપાસ કરાવશે.