વડોદરાઃ રાષ્ટ્રિયકૃત બેંકોના 10 યુનિયન દ્વારા 31મી જાન્યુઆરી, 1લી ફેબ્રુઆરી અને ત્યારબાદ માર્ચ માસ સુધી હડતાળોનું એલાન કરાયું છે. જેના પગલે વેપાર ઉદ્યોગોને મુશ્કેલીમાં મૂકાયા છે. જેથી તેમણે વડોદરાના મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળ, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ, ગુજરાત ટ્રેડર્સ ફેડરેશન, ગોંડલ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝ, ભાવનગર ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રિઝે ગુજરાત હાઇકોર્ટમાં એક જાહેરહિતની અરજી કરી છે.
મધ્ય ગુજરાત વ્યાપાર ઉદ્યોગ મંડળના જણાવ્યાંનુસાર, બેંક યુનિયનો દ્વારા પ્રથમ તબક્કામાં 31મી જાન્યુઆરી, 1લી ફેબ્રુઆરી અને ૩ ફેબ્રુઆરીએ હડતાળનું એલાન કરાયું છે. ત્યારબાદ માર્ચ મહિનામાં મંગળવારે 11થી 13 માર્ચ સુધી એમ સતત ત્રણ દિવસ સુધી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, ત્યારે 14મી માર્ચેના શનિવાર હોવાથી એક સપ્તાહ સુધી બેંકિંગ વ્યવહાર બંધ રહેતો હોવાથી વેપારીઓ ચિંતામાં મૂકાયાં છે. કારણ કે, હાલ, નાણાકીય વર્ષના અંતિમ મહિના ચાલી રહ્યાં છે. જેથી નાણાકીય ભીડ વધી રહી છે. એટલે આ હડતાળને ધ્યાનમાં રાખીને વ્યાપારિક સંસ્થાઓએ હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરી છે.
ઉલ્લેખનીય છે કે, બેન્ક યુનિયને હડતાળ માટે 12 કારણો રજૂ કર્યા છે. જેમાં તેઓએ વેતન વધારો અને વર્કિગ અવર્સ સહિતની બાબતોને સમાવી છે. સાથે આ તમામ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચિમકી ઉચ્ચારી છે. જેના પગલે સરકારે રિઝર્વ બેન્ક અને લેબર વિભાગે સાથે ચર્ચા કરી રહી છે, ત્યારે સૂચિત હડતાળને કારણે ગુજરાતમાં અંદાજે રૂપિયા 12 હજાર કરોડ સહિત દેશભરમાં લગભગ રૂપિયા 21 હજાર કરોડના આર્થિક વ્યવહારોને માઠી અસર થવાની શક્યતા છે.