પંચમહાલ: 2 મહિના પહેલા ગોધરામાંથી 26 લોકો કરાંચી લગ્નમાં ગયા હતા, પરંતુ અચાનક ભારત-પાકિસ્તાનમાં લોકડાઉન જાહેર કરી દેવામાં આવતા તેઓ પાકિસ્તાનમાં જ અટવાઈ પડ્યા હતા. હાલ તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરી ભારત સરકાર પાસે મદદ માગી છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે, અનેક વખત ઈ-મેઈલથી જાણ કરી હોવા છતાં તેમને મદદ મળી રહી નહોતી. તમામ 26 લોકોએ સરકારને મેઈલ કર્યો હોવાનો દાવો કર્યો છે. 4 જૂને અમૃતસરથી ગોધરાની ટ્રેનની ટિકિટ પણ બુક કરાવી હતી. પરંતુ તે ટ્રેન કેન્સલ થઈ હતી.
આ વિશે મળતી માહિતી પ્રમાણે, પંચમહાલના ગોધરાના 26 લોકો છેલ્લા 2-3 મહિનાથી પાકિસ્તાનના કરાચીમાં ફસાયા હોવાના એક અહેવાલ સામે આવ્યા છે. પાકિસ્તાનમાં એક લગ્ન સમારંભમાં ભાગ લેવા ગયેલા આ તમામ લોકો લોકડાઉનને કારણે પાકિસ્તાનમાં ફસાયા છે. આ લોકોએ પરિવાર વગર જ પાકિસ્તાનમાં રમજાન અને ઈદ મનાવી છે. તેમાંના કેટલાક લોકો 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાન ગયા હતા. જ્યારે અન્ય લોકો 11મી માર્ચે ગયા હતા. હાલ સોશ્યિલ મીડિયા મારફતે તમામે વીડિયો અને ઈ-મેઈલ મારફતે ભારત પરત આવવા માટે તેમણે સરકાર પાસે મંજૂરી માગી હતી. પરંતુ સરકારે તેમની મંજૂરી સ્વીકારી નહોતી. 4 જૂને તેમણે અમૃતસરથી ગોધરાની ટ્રેનમાં ટિકિટ બુક કરી છે. તેમણે સરકાર પાસે અટારી-વાઘા બોર્ડરથી ભારતમાં આવવા માટે મંજૂરી માગી છે.
પાકિસ્તાનના કરાંચીમાં રહેતા સામાજિક કાર્યકર સલીમ મુર્શાદ ગોધરાના લોકોએ પરત મોકલવામાં મદદ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગોધરામાં રહેતા કેટલાય લોકોના પરિવારજનો અને સંબંધીઓ પાકિસ્તાનમાં રહે છે. જેને કારણે અવારનવાર આવા કિસ્સાઓ બનતા રહે છે. આ પહેલા પણ 370ની કલમ નાબૂદ કરી હતી. ત્યારે પણ ગોધરાના 80 લોકો પાકિસ્તાનમાં ફસાયા હતા.