મહીસાગરઃ લોકડાઉનની કપરી પરિસ્થિતિમાં મધ્યમ વર્ગીય પરિવારોને પડતી મુશ્કેલીઓને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા NON NFSA APL-1 રેશનકાર્ડ ધારકોને અનાજનો જથ્થો આપવાનું સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે મહિસાગર જિલ્લા વહીવટી તંત્રની અપીલને ધ્યાને લઇ મધ્યમ વર્ગીય જરૂરિયાતમંદોને અનાજનો જથ્થો મળી રહે તેવા આશયથી જિલ્લાના કેટલાય સાધનસંપન્ન લોકોએ પોતાને મળનારો અનાજનો જથ્થો સ્વેચ્છાએ જતો કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. જેમાં જિલ્લાના 13082 જેટલા રેશનકાર્ડ ધારકોએ પોતાનો અનાજનો જથ્થો જતો કર્યો છે.
જે પૈકી લુણાવાડા તાલુકામાં 4023 રેશનકાર્ડ ધારકો, ખાનપુરમાં 1515 કાર્ડધારકો, સંતરામપુરમાં 2680 કાર્ડ ધારકો, કડાણામાં 2051 રેશનકાર્ડ ધારક, બાલાસિનોરમાં 1052 ધારકોએ અને વિરપુર તાલુકામાં 1761 જેટલા રેશનકાર્ડ ધારકોએ સ્વૈચ્છાએ અનાજનો જથ્થો જતો કરી માનવતાનો અભિગમ અપનાવ્યો છે.